અનેક રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ દુકાનો છત્તા વડોદરા કોર્પોરેશન કાર્યવાહી કરતું નથી
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Vadodara Corporation : વડોદરા શહેરના સરદાર ભુવનનો ખાંચો હોય કે ચાર દરવાજા વિસ્તાર હોય અનેક રહેણાંક વિસ્તારોમાં કોમર્શિયલ પ્રવૃત્તિ ચાલી રહી છે ત્યારે કોર્પોરેશન દ્વારા એકલદોકલ દુકાને કે ગોદામને સીલ કરવામાં આવે છે તે સામે કાર્યવાહી કરવા માંગ ઉઠી છે.
ગઈકાલે શહેરના વાડી વિસ્તારના શાસ્ત્રીબાગ નજીક આવેલા કોટિયાર્કનગરમાં મ્યુનિસિપલ કોર્પોરેશનની ટાઉન પ્લાનિંગ શાખાએ એક મકાનને સીલ મારવાની કાર્યવાહી હાથ ધરી હતી. મકાનમાં હાઉસ ક્લિનિંગ માટેના કેમિકલનું ગોડાઉન ચલાવવામાં આવતું હતું. ટાઉન પ્લાનિંગ શાખાની ટીમે એ-55 નંબરના મકાનને સીલ કર્યું હતું. જોકે આ કાર્યવાહી સામે સામાજિક કાર્યકર અને એડવોકેટ શૈલેષ અમીને મ્યુનિસિપલ કમિશનરને રજૂઆત કરી છે.
એમના જણાવ્યા અનુસાર, રહેણાંક વિસ્તારમાં ટ્યુશન ક્લાસ, કપડાંના વ્યવસાય, આઇસ્ક્રીમની મીની ફેક્ટરી સહિત અંદાજે 10 જેટલી કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે. તમામ અંગે ફરિયાદો હોવા છતાં માત્ર એક જ એકમ સામે કાર્યવાહી કરાતા શંકા ઊભી થાય છે. મ્યુનિસિપલ કમિશનરે સમગ્ર મામલે તપાસ કરાવી યોગ્ય કાર્યવાહી કરવાની ખાતરી આપી હોવાનું જણાવાયું છે.
આ ઉપરાંત, શહેરમાં અનેક જગ્યાએ રહેણાંક વિસ્તારમાં કોમર્શિયલ પ્રવૃત્તિઓ ચાલી રહી છે, મરી માતાના ખાંચામાં કોમર્શિયલ પ્રવૃત્તિનો લોકો વિરોધ કરી રહ્યા છે, સરદાર ભવનના ખાંચામાં શો રૂમમાં બની ગયા છે, આ પ્રવૃત્તિઓ સામે અનેક ફરિયાદો હોવા છતાં ટાઉન પ્લાનિંગ વિભાગના કર્મચારીઓ નજર અંદાજ કરે છે.








