રાજકોટમાં ત્રિપલ મર્ડર: વાહન ટકરાવા જેવી નજીવી બાબતે બે સગાભાઈની હત્યા, હુમલાખોરનું પણ મોત

Rajkot Crime: સમગ્ર દેશમાં દિવાળીના પાવન તહેવારની ઉજવણી વચ્ચે રાજકોટમાંથી એક ચોંકાવનારી અને લોહિયાળ ઘટના સામે આવી છે. દિવાળીના એક દિવસ પૂર્વે એટલે કે કાળી ચૌદશની મોડી રાત્રે શહેરના ગોંડલ રોડ પર આવેલા આંબેડકરનગર વિસ્તારમાં વાહન અથડાવવા જેવી નજીવી બાબતને લઈને થયેલી જૂથ અથડામણમાં એકસાથે ત્રણ વ્યક્તિઓની હત્યા થતાં સમગ્ર શહેર હચમચી ઉઠ્યું છે.
શું હતી ઘટના?
મળતી માહિતી મુજબ, મધરાતની આ હિંસક અથડામણમાં એક પક્ષના બે સગા ભાઈઓની છરીના ઘા ઝીંકીને હત્યા કરી દેવાઈ છે. મૃતકોની ઓળખ 45 વર્ષીય સુરેશ પરમાર અને 40 વર્ષીય વશરામ પરમાર તરીકે થઈ છે. એટલું જ નહીં, આ અથડામણમાં સામા પક્ષે હુમલો કરનાર યુવક અરુણ બારોટની પણ હત્યા થઈ હોવાનું સામે આવ્યું છે. આ ઘટનામાં અન્ય લોકોને પણ ઈજા પહોંચતા તેમને તાત્કાલિક સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા હતા.
'દારૂનું દૂષણ દૂર કરો': મૃતક ભાઈઓના પિતાની આર્જવભરી માગ
મૃતક બંને ભાઈઓના પિતા વશરામભાઈએ આ હૃદયદ્રાવક ઘટના અંગે માહિતી આપતા જણાવ્યું કે, 'મારા બંને દીકરાઓ મજૂરી કામ કરીને રાત્રે ઘરે પરત ફરી રહ્યા હતા. રાત્રે 10:30 થી 11:00 વાગ્યાની આસપાસ તેમનું વાહન અથડાયું હશે, જે બાબતે જોઈને ચલાવવા કહેતા બોલાચાલી થઈ હતી.' તેમણે આક્ષેપ કરતા કહ્યું કે, 'સામેવાળા લુખ્ખા તત્ત્વોએ મારા બંને દીકરા, તેમના દીકરા અને મારી પુત્રવધૂ ઉપર છરીઓ ઉગામી, જેમાં આજે મારા બંને દીકરાના મોત થયા છે.'
વશરામભાઈએ વિસ્તારમાં વધી રહેલા દારૂના દૂષણ તરફ ધ્યાન દોર્યું હતું અને માગ કરી કે, 'અમારા વિસ્તારમાં દારૂનું દૂષણ છે તે દૂર કરવામાં આવે. લુખ્ખા તત્ત્વો આવી રીતે દારૂ પીને લૂખ્ખાગીરી કરતા હોય છે.'
આ પણ વાંચોઃ લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા
પોલીસે શરૂ કરી તપાસ:
બનાવની જાણ થતાં જ DCP ક્રાઇમ જગદીશ બાંગરવા સહિત માલવિયાનગર પોલીસ અને ક્રાઇમ બ્રાન્ચના ઉચ્ચ અધિકારીઓ તાત્કાલિક સિવિલ હોસ્પિટલ અને ઘટનાસ્થળે દોડી ગયા હતા. માલવિયાનગર પોલીસે મૃતદેહોને પોસ્ટમોર્ટમ અર્થે ખસેડીને હત્યાની કલમ હેઠળ બંને પક્ષો સામે કાયદેસરની કડક કાર્યવાહી હાથ ધરવા તજવીજ શરૂ કરી છે. નજીવી બાબતમાં થયેલી આ લોહિયાળ અથડામણે દિવાળીના પર્વ પર રાજકોટને શોકમય બનાવી દીધું છે.