લોકસભાનું સમીકરણઃ અમદાવાદ પશ્ચિમની બેઠક સાચવવા અસારવાના ધારાસભ્યને મંત્રી બનાવ્યા

Ahmedabad News: ગુજરાત સરકારના તાજેતરમાં થયેલા નવા મંત્રીમંડળ વિસ્તરણમાં જ્ઞાતિ આધારિત સમીકરણ ઉપરાંત લોકસભા બેઠકોના મતવિસ્તારને સાચવવાનું પણ સમીકરણ જોવા મળ્યુ છે. જેમાં અસારવાના ધારાસભ્ય દર્શના વાઘેલાને રાજ્યકક્ષાના મંત્રી બનાવીને અમદાવાદ પશ્ચિમ બેઠક ચાચવી લેવાઈ છે. કારણકે અમદાવાદ અને ગાંધીનગર એ સૌથી મહત્ત્વના ગણાતા હોવાથી ગાંધીનગર લોકસભા વિસ્તારની ઘાટલોડિયા બેઠકમાંથી મુખ્યમંત્રી છે અને અમદાવાદ પૂર્વ લોકસભા વિસ્તારની નિકોલ બેઠકમાંથી પ્રદેશ પ્રમુખ છે ત્યારે પશ્ચિમની બેઠકમાંથી કોઈને મંત્રી બનાવવા પડે તેમ હતા.
અમદાવાદ-ગાંધીનગરને વધુ મહત્ત્વ અપાયું?
મંત્રીમંડળના વિસ્તરણના થોડા દિવસ પહેલા જ ભાજપ હાઇકમાન્ડ દ્વારા ગુજરાત પ્રદેશ પ્રમુખની ખાલી પડેલી જગ્યા પર ધારાસભ્ય જગદીશ વિશ્વકર્માની પસંદગી કરીને રાજકીય વિશ્લેષકોને પણ ચોંકાવી દીધા હતા. એવામાં અમદાવાદમાંથી ઘાટલોડિયાના ધારાસભ્ય મુખ્યમંત્રી હોવા ઉપરાંત અમદાવાદ પૂર્વમાંથી ધારાસભ્યને પ્રદેશ પ્રમુખ જેવુ મોટું પદ અપાતા મંત્રીમંડળમાં નવા સમીકરણોની ચર્ચા ચાલી રહી હતી. જેમાં અમદાવાદ પશ્ચિની બેઠકનું પણ ખાસ ધ્યાન રાખવામાં આવ્યું છે. મુખ્યમંત્રી સહિતના સરકારના નવા 26 મંત્રીઓના મંત્રીમંડળમાં અમદાવાદ પશ્ચિમ લોકસભા મત વિસ્તાર હેઠળની અસારવા વિધાનસભા બેઠકના ધારાસભ્યનો પણ સમાવેશ કરવામા આવ્યો છે.
આ પણ વાંચોઃ દિવાળીએ અમદાવાદની હવા પણ ઝેરી બની, WHOની મર્યાદાથી સાત ગણું ખરાબ પ્રદૂષણ
અમદાવાદ અને ગાંધીનગર એ ગુજરાતના રાજકારણમાં ખૂબ જ મહત્ત્વના ગણાય છે ત્યારે ગાંધીનગર લોકસભા મત વિસ્તાર હેઠળની બેઠકોમાંથી ઘાટલોડિયા બેઠકના ભૂપેન્દ્ર પટેલ મુખ્યમંત્રી પદ પર છે અને અમદાવાદ પૂર્વ લોકસભા મત વિસ્તાર હેઠળની બેઠકોમાંથી નિકોલ બેઠકના જગદીશ વિશ્વકર્માને પ્રદેશ પ્રમુખ બનાવાતા હવે અમદાવાદ પશ્ચિમ બેઠક બાકી રહેતી હતી. જેથી મતવિસ્તારને સાચવવાના સમીકરણને સેટ કરાતા અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારમાંથી કોઈને મંત્રી બનાવવા પડે તેમ હતા. અમદાવાદ પશ્ચિમ લોકસભા વિસ્તારની 7 વિધાનસભા બેઠકોમાંથી છ બેઠકોમાં પુરુષ ધારાસભ્ય છે અને એક માત્ર મહિલા ધારાસભ્ય એવા દર્શના વાઘેલા છે. જેઓ અસારવા બેઠકના ધારાસભ્ય છે ત્યારે તેઓને રાજ્ય કક્ષાના મંત્રી બનાવાતા અંતે અમદાવાદ અને ગાંધીનગરની ત્રણેય લોકસભા સીટો સાચવી લેવાઈ છે. આ સિવાય નવા મંત્રીમંડળમાં ભાવનગર, આણંદ, બારડોલી, કચ્છ, બનાસકાંઠા અને નવસારી લોકસભા બેઠકના મતવિસ્તારમાંથી બે-બે વિધાનસભા બેઠકોના ધારાસભ્યોને મંત્રીઓ બનાવવામા આવ્યા છે.
આ પણ વાંચોઃ સુરેન્દ્રનગરની મહિલા સાથે શેરબજારમાં ડબલની લાલચ આપી 31 લાખની છેતરપિંડી
પાંચ લોકસભાની બેઠકોમાંથી એકેય મંત્રી નહીં
ગુજરાતમાં કુલ 26 લોકસભા સીટો છે. જેમાં દરેક લોકસભા બેઠકમાં 7 વિધાનસભા બેઠકો આવે છે. નવા મંત્રીમંડળના વિસ્તરણ લોકસભા મત વિસ્તારોની બેઠકોને પણ ખાસ ધ્યાને રાખવામા આવી છે. અગાઉના મંત્રીમંડળમાં જે જે જિલ્લા કે જે લોકસભા મતવિસ્તારમાંથી એક કે બે ધારાસભ્યો હતા તેમાંથી કેટલાક લોકસભા મતવિસ્તારો-જિલ્લાની નવા મંત્રીમંડળમાં બાદબાકી કરાઈ છે.નવા મંત્રીમંડળમાં પાટણ, સુરેન્દ્રનગર, પંચમહાલ, છોટાઉદેપુર અને સુરત લોકસભા મતવિસ્તારની વિધાનસભા બેઠકોમાંથી ધારાસભ્યને સમાવવામા આવ્યા નથી. જો કે, સુરત જિલ્લાની બે વિધાનસભા બેઠકના ધારાસભ્યોને નવા મંત્રીમંડળમાં મંત્રી તરીકે રીપીટ કરાયા છે અને કદ પણ વધારાયુ છે.