રાજકોટ: પાનના ગલ્લાવાળા પાસેથી હવે આચાર્યોએ દંડ ઉઘરાવવો પડશે? DDOના ફતવા સામે શિક્ષકો લાલઘૂમ
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Tobacco Ban Near Schools In Rajkot: રાજકોટ જિલ્લામાં શાળાઓની આસપાસ તમાકુના વેચાણ પર પ્રતિબંધના અમલીકરણને લઈને વિવાદ સર્જાયો છે. જિલ્લા વિકાસ અધિકારી (DDO) દ્વારા જાહેર કરાયેલા પરિપત્રમાં શાળાના આચાર્યોને દંડ વસૂલવાની સત્તા સોંપાતા શિક્ષક આલમમાં ભારે આક્રોશ જોવા મળી રહ્યો છે. રાજકોટ જિલ્લાના 11 તાલુકાના 6,500થી વધુ શિક્ષકોએ આ બિન-શૈક્ષણિક કામગીરી સામે આંદોલનની ચીમકી ઉચ્ચારી છે.
શું છે નવો પરિપત્ર?
રાજકોટ DDO દ્વારા જાહેર કરાયેલા પરિપત્ર મુજબ, જિલ્લાની તમામ શાળાઓની 100 મીટરની ત્રિજ્યામાં તમાકુ કે સિગારેટના વેચાણ પર કડક પ્રતિબંધ લાદવામાં આવ્યો છે. આ નિયમનું ઉલ્લંઘન કરનાર વેપારીઓ પાસેથી દંડ વસૂલવા માટે હવે શાળાના આચાર્યો અને શિક્ષકોને સત્તાવાર રીતે અધિકૃત કરવામાં આવ્યા છે. 18 વર્ષથી ઓછી વયના બાળકોને તમાકુ વેચવા કે તેમની પાસે મંગાવવા પર પણ પ્રતિબંધ મુકાયો છે.
શિક્ષકોનો વિરોધ
આ પરિપત્ર સામે રજૂઆત કરતા પુનીતભાઈ સવાણીએ જણાવ્યું હતું કે,'આ નિર્ણયથી અનેક સમસ્યાઓ સર્જાઈ શકે છે. આચાર્યો અને સ્થાનિક દુકાનદારો વચ્ચે સીધું ઘર્ષણ થવાની શક્યતા છે, જેનાથી શૈક્ષણિક વાતાવરણ બગડી શકે છે. શિક્ષકનું મુખ્ય કામ બાળકોને ભણાવવાનું છે, દંડ વસૂલવાનું નહીં.'
વૈકલ્પિક વ્યવસ્થાની માંગ
શિક્ષકો અને આચાર્યોની માંગ છે કે આ પરિપત્ર તાત્કાલિક અસરથી રદ કરવામાં આવે અથવા સુધારવામાં આવે. આ કામગીરી માટે પંચાયતના અલગ-અલગ વિભાગો, પોલીસ વિભાગ અથવા નશાબંધી વિભાગને જવાબદારી સોંપવી જોઈએ. શિક્ષકોએ સ્પષ્ટ ચીમકી આપી છે કે જો આ પરિપત્ર પાછો ખેંચવામાં નહીં આવે તો આગામી દિવસોમાં જલદ આંદોલન કરવામાં આવશે.









