Get The App

રાજકોટ: 'ઈગલ ટ્રાવેલ્સ'ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી

Updated: May 2nd, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટ: 'ઈગલ ટ્રાવેલ્સ'ના બે સહમાલિકોની વેટ ચોરીમાં ધરપકડ, વેરા વસૂલાતની ખાસ સ્કવોડે કરી કાર્યવાહી 1 - image


Rajkot News: રાજકોટની જાણીતી ટ્રાવેલ્સ કંપની 'ઈગલ મોટર્સ' સાથે જોડાયેલા વેટ ચોરીના મોટા કૌભાંડમાં આખરે કાયદાનો ગાળિયો કસાયો છે. વર્ષોથી ચાલી આવતી કરોડો રૂપિયાની કરચોરીના મામલે કંપનીના બે સહ-માલિકો, જયુભાઈ ગોળવાળા અને મનીષભાઈ ગોળવાળાની ધરપકડ કરવામાં આવી છે. વેરા વસૂલાતની ખાસ સ્કવોડે જયુભાઈને અમદાવાદથી અને મનીષભાઈને રાજકોટથી ઝડપી લીધા છે.

કરચોરીનો ઇતિહાસ અને કંપનીની સ્થાપના

વર્ષ 2005માં રસિકભાઈ બાવરીયા (ગોળવાળા) અને તેમના પરિવારના સભ્યો-મનિષભાઈ, જયેન્દ્રભાઈ(જયુભાઈ), દિનેશભાઈ અને કંચનબેન(પત્ની) દ્વારા ઈગલ મોટર્સ પ્રા. લી. ની સ્થાપના કરવામાં આવી હતી. જો કે, કામગીરી શરૂ થયાના માત્ર બે જ વર્ષમાં, એટલે કે 2007થી કંપનીએ નિયમ મુજબ ભરવાના થતા રાજ્ય વેરા અને કેન્દ્રીય વેચાણ વેરા(VAT)ની રકમ સરકારમાં જમા કરાવવાનું કોઈ કારણસર બંધ કરી દીધું હતું.

રૂ. 28 કરોડનું લેણું અને કાયદાકીય કાર્યવાહી

સતત કરચોરીના પરિણામે વર્ષ 2015 સુધીમાં આ આંકડો વધીને રૂ. 28 કરોડ પર પહોંચી ગયો હતો. નવાઈની વાત એ છે કે આટલો મોટો વેપાર ધરાવતી હોવા છતાં કંપની બાદમાં દેણામાં જતી રહી હતી. ટેક્સ વિભાગ દ્વારા વર્ષ 2015 અને 2019માં વસૂલાત માટેની અનેક નોટિસો આપવા છતાં બાકી રકમ ભરપાઈ કરવામાં આવી ન હતી. અંતે આરોપીઓ વિરુદ્ધ ફોજદારી  ગુનો દાખલ કરવામાં આવ્યો હતો. 

આ પણ વાંચો: રાજકોટ: આજી ડેમમાં પિતા-પુત્ર સહિત 4 લોકો ડૂબ્યા, ત્રણના મૃતદેહ મળ્યા, એકની શોધખોળ શરૂ

કંપનીએ લાંબા સમય સુધી કરચોરી ચાલુ રાખી હતી અને અત્યાર સુધી સરકારને એક પાઈની પણ રિકવરી મળી નથી તેવો પણ દાવો છે, જેથી કાર્યવાહીના ભાગરૂપે ઈગલ ટ્રાવેલ્સના સહમાલિકો જયુભાઈ ગોળવાળા અને મનીષભાઈ ગોળવાળાની આજે શનિવારે ધરપકડ કરવામાં આવી છે.