Get The App

રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે જામનગરમાં અપહરણ કરી ગોંધી રાખ્યા

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
રાજકોટના બેંક મેનેજરનું પરિવાર સાથે જામનગરમાં અપહરણ કરી ગોંધી રાખ્યા 1 - image

બેંકના ઈન્સ્યોરન્સ વિભાગના મેનેજરની જામનગર પોલીસમાં 6 સામે ફરિયાદ : વ્હાઈટના નાણા બ્લેક કરવા માટે રૂ. 27 લાખની લેતી-દેતીના મુદ્દે ડખ્ખો થયો : 5 શખ્સોની ધરપકડ

જામનગર, : રાજકોટ જયુબેલી ચોક પાસે આવેલી એક બેંકના લાઇફ ઈન્સ્યોરન્સ વિભાગનાં મેનેજર અને તેના પરિવારનું રૂ. 27 લાખની લેતી-દેતી મામલે જામનગરના શખ્સોએ અપહરણ કરી જામનગરના એક બંગલામાં ગોંધી રાખી મેનેજરને માર મારી જાનથી મારી નાખવાની ધમકીઓ આપી રૂ. 9.75 લાખ પડાવી લીધા અંગેની ફરિયાદ નોંધાયા બાદ પોલીસે 5 આરોપીઓને પકડી લીધા હતા. 

રાજકોટ રૈયાધાર ડ્રીમસીટી બ્લોક નં. 704માં રહેતા અને જયુબેલી ચોક પાસે એક બેંકમાં લાઈફ ઈન્સ્યોરન્સ વિભાગમાં બિઝનેશ ડેવલોપર્સ મેનેજર તરીકે નોકરી કરતા નિમેષ ભુપતભાઈ તન્ના (ઉ.વ. 32)એ જામનગર બી-ડિવિઝન પોલીસ મથકમાં જામનગરમાં રહેતા જયદિપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચો, અક્ષય ઉર્ફે અપો ચાવડા, અમીત ચાવડા તથા એક અજાણ્યા શખ્સ વિરૂધ્ધ ફરિયાદ નોંધાવી છે. તેણે ફરિયાદમાં જણાવ્યું છે કે આઠ દિવસ પહેલા જામનગર ખોડીયાર કોલોનીમાં રહેતો મિત્ર ચિરાગ આહિરનો ફોન આવતા તેણે કહ્યું કે, તેના મિત્ર જયદિપસિંહ જાડેજા ઉર્ફે લાલાને વ્હાઈટના બ્લેક રૂપિયા કરવા છે. તારી પાસે બેંક એકાઉન્ટ હોય, તો જણાવજે કહેતા તેણે મિત્ર લખન ઘેડીયાનું એકાઉન્ટ છે અને રૂ. 1 લાખ કમિશન થશે તેમ વાત કરી હતી. બાદ આરોપી ચિરાગે જયદિપસિંહના મોબાઈલ નંબર આપતા તેણે તેની સાથે વાત કરી હતી. ત્યારબાદ જયદિપસિંહે તેના મિત્રના એકાઉન્ટમાં રૂ. 27.20 લાખ ટ્રાન્સફર કર્યા હતા. 

આ વ્યવહાર થયા બાદ આ રકમ સમયસર પરત આપી ન શકતા આરોપીઓએ પૈસાની ઉઘરાણી કરી ધમકીઓ આપવા લાગ્યા હતા. જેથી તેને ડર લાગતા પત્ની, પુત્રી, મિત્ર અને ડ્રાઈવર સાથે તા. 24ના રોજ કાર લઈને અમદાવાદ જવા માટે નિકળ્યા હતા. ત્યાંથી ફલાઈટ મારફતે મુંબઈ જવાના હતા.

દરમિયાન તેઓ ચોટીલા ટોલનાકા પાસે પહોંચતા એક સ્કોર્પિયોના ચાલકે આડી નાખી કાર ઉભી રખાવી હતી અને સ્કોર્પિયોમાં છ આરોપીઓ હતા.  જેમાં બે આરોપી કારમાં બેસી  ગયા હતા અને મિત્ર અને ડ્રાઈવરને સ્કોર્પિયોમાં બેસાડી અપહરણ કરી જામનગર ખાતે લઈ જઈ એક બંગલામાં ગોંધી રાખ્યા હતા. ત્યારબાદ રૂપિયાની ઉઘરાણી કરી માર મારી તેને તથા તેના પરિવારને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી અને બળજબરીથી તેની પાસેથી રૂ. 9.75 લાખ ટ્રાન્સફર કરાવી લીધા હતા. અને બાકી રકમની વ્યવસ્થા કરવા માટે પત્ની, પુત્રી અને મિત્રને છોડી મુક્યા હતા. ત્યારબાદ પત્નીએ આ મામલે જાણ કરતા જામનગર પોલીસની ટીમે તુરત જ સ્થળ પર પહોંચી બેંક કર્મચારીને મુક્ત કરાવ્યા હતા. આ મામલે પોલીસે ફરિયાદ દાખલ કરી આરોપી જયદિપસિંહ જાડેજા, ચિરાગ આહિર, એજાજ સાયચા, અક્ષય ચાવડા અને અમિત ચાવડાને પકડી લઈ પુછપરછ હાથ ધરી છે.