ચાંદખેડામાં મધરાત્રે માથામાં ફટકા મારી રેલવે અધિકારીની હત્યા

અમદાવાદ, તા. 19 માર્ચ 2022
ચાંદખેડા રેલ્વે સ્ટેશનની પાછળ આવેલા ગ્રીન પાર્ક 2 શ્રવણ મહાવીર સોસાયટી પાસે રેલવે અધિકારીની હત્યા કરાયેલી લાશ મળી આવી હતી. બનાવને પગલે સાબરમતી પોલીસે સ્થળ પર પહોંચી તપાસ હાથ ધરી છે. પોલીસની પ્રાથમિક તપાસમાં મૃતક મધરાત્રે 2 વાગ્યાની આસપાસ ઘરેથી નીકળ્યા હતા. દરમિયાન સોસાયટીથી થોડે દુર કોઈ વ્યક્તિએ બોથડ પદાર્થ માથામાં મારી તેઓની હત્યા કરી છે.
રેલવેમાં ઓએસ (આઉટ સ્ટેશન) અધિકારી તરીકે ફરજ બજાવતા અને ચાંદખેડા રેલ્વે સ્ટેશન પાછળ આવેલા ગ્રીન પાર્ક-2 શ્રવણ મહાવીર સોસાયટીમાં રહેતાં અમિત સત્યાશીની ડેડબોડી તેઓની સોસાયટીથી થોડે દુર આજે પરોઢે મળી આવી હતી. અમિતભાઈને માથામાં બોથડ પદાર્થ મારી ઇજા કરવામાં આવી હોવાથી તેઓનું મોત નીપજ્યું હતું.
સ્થાનિકોએ મૃતકની લાશ જોઈ પરિવાર અને પોલીસને જાણ કરી હતી. બનાવ અંગે ચાંદખેડા પોલીસ મેસેજ મળતા પહોંચી પણ હદ સાબરમતી પોલીસની હોવાથી તેઓને જાણ કરાઈ હતી. અમિતભાઇ તેઓના ઘરેથી મધરાત્રે 2 વાગ્યે નીકળ્યા બાદ બનાવ બન્યો હતો. પોલીસે સમગ્ર મામલે તપાસ હાથ ધરી છે.




