જામનગરના સીટી એ ડિવિઝન પોલીસ સ્ટેશન વિસ્તારમાં બે પાડોશીઓ વચ્ચેનો નાનો ઝઘડો ઉગ્ર બની મારામારી સુધી પહોંચ્યો હોવાનો બનાવ સામે આવ્યો છે. પોલીસે ચાર આરોપીઓ સામે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
જામનગરમાં મંગલધામ સોસાયટી માં રહેતી દક્ષાબેન ધર્મેશભાઈ હરિયાણીને પોતાના વિસ્તારમાં શેરીમાં બાળકો રમવા બાબતે તેણીના પાડોશી વિક્રમભાઈ, ઉપરાંત વિક્રમભાઈ નો સાળો સાગર, અને તેનો એક ભાઈ, તથા અન્ય સાગરીત વગેરે ચાર વ્યક્તિ સાથે બોલાચાલી થઈ હતી. આ બાબતનો ખાર રાખી આરોપીઓ એકજૂથ થઈ ફરીયાદીના ઘરે આવી ઝઘડો કર્યો હતો.
આરોપીઓએ ગાળો આપી લાકડાના ધોકા સાથે હુમલો કર્યો હતો. જેમાં આરોપી વિક્રમભાઈએ ફરીયાદીના કપાળના ભાગે માર માર્યો હતો, જ્યારે અન્ય આરોપીઓએ શરીરે આડેધડ માર માર્યો હતો, જેના કારણે ફરીયાદીને ઈજા પહોંચી હતી.
ઘટનામાં વચ્ચે પડેલી ફરીયાદીની દીકરી સિદ્ધિને પણ આરોપીઓએ માર મારી ઈજા પહોંચાડી હતી. આરોપીઓએ ફરીયાદીને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી.
આ બનાવ અંગે ભારતીય ન્યાય સંહિતા 2023ની કલમ 115(2), 352, 351(3), 54 તથા જી.પી. એક્ટ કલમ 135(1) હેઠળ ગુનો નોંધાયો છે.
પોલીસ દ્વારા માતા પુત્રી પર હુમલો કરનારા પાડોશી આરોપીઓને ઝડપી પાડવા અને વધુ તપાસ માટે કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. જ્યારે માતા પુત્રીને જામનગરની હોસ્પિટલમાં પ્રાથમિક સારવાર અપાઇ છે.


