Gujarat

મ્યુનિ.પાસે પુરતુ ભંડોળ નથી છતાં દરખાસ્ત,અમદાવાદમાં કોંગ્રેસના વિરોધ છતાં રોડના કામ અંદાજથી ૨૫ ટકા વધુ ભાવથી અપાયા

By GS Team
12 Feb 20221 min read
This article was originally published on 12 Feb 2022
મ્યુનિ.પાસે પુરતુ ભંડોળ નથી છતાં દરખાસ્ત,અમદાવાદમાં કોંગ્રેસના વિરોધ છતાં રોડના કામ અંદાજથી ૨૫ ટકા  વધુ ભાવથી અપાયા

  અમદાવાદ,શુક્રવાર,11 ફેબ્રુ,2022

 શહેરના બિસ્માર રોડ રીસરફેસ કરવા પુરતુ ભંડોળ ના હોવાનું મ્યુનિ.તંત્ર દ્વારા હાઈકોર્ટમાં કહેવામાં આવ્યુ છે.શુક્રવારે રોડ કમિટીમાં અંદાજીત ભાવથી ૨૫ ટકા વધુ ભાવથી રોડના કામ આપવાની દરખાસ્તનો કોંગ્રેસ દ્વારા વિરોધ કરવામાં આવ્યો છે.

મ્યુનિસિપલ વિપક્ષનેતા શહેજાદખાન પઠાણે રોડ કમિટીમાં મંજુરી માટે મુકવામાં આવેલી દરખાસ્ત મામલે પ્રતિક્રીયા આપતા કહ્યુ,મ્યુનિ.તિજોરી ખાલી છે.કોન્ટ્રાકટરોએ કરેલા કામ પેટે કરોડો રૃપિયાના બીલના પેમેન્ટ કરી શકાતા નથી.આ પરિસ્થિતિમાં જોધપુર વોર્ડમાં જુદા-જુદા ટી.પી.રસ્તા રીસરફેસ કરવા નરનારાયણ ઈન્ફ્રાસ્ટ્રકચરને અંદાજીત ભાવથી ૨૫ ટકા વધુના ભાવથી કામ સોંપવામાં આવે છે.ઉપરાંત બીટુમીનના ભાવમાં વધારો ચુકવવાની કોન્ટ્રાકટરની શરત પણ શાસકો દ્વારા મંજુર કરવામાં આવે છે.ચાંદલોડિયા વોર્ડમાં ફૂટપાથ અને સેન્ટ્રલ વર્જ સહિતના કામો અંદાજીત ભાવથી ૩૦ ટકા ઓછી રકમમાં આપવામાં આવે છે.આટલા ઓછા ભાવથી આપવામાં આવેલા કામોની ગુણવત્તા કેવી હશે એ સવાલ છે.રોડ કમિટીના ચેરમેન મહાદેવ દેસાઈને પુછતા તેમણે કહ્યુ,રોડ કમિટી સમક્ષ મંજુરી માટે મુકવામાં આવેલી તમામ દરખાસ્તો મંજુર કરવામાં આવી છે.