Gujarat

મોટેરાની સંપાદ રેસીડેન્સીના વીસ મકાન માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા

By GS Team
13 Nov 20211 min read
This article was originally published on 13 Nov 2021
મોટેરાની સંપાદ રેસીડેન્સીના વીસ મકાન માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકાયા

  અમદાવાદ,શુક્રવાર,12 નવેમ્બર,2021

અમદાવાદના ચાંદખેડા વોર્ડમાં ગુરુવારે કોરોનાના પાંચ કેસ નોંધાતા મ્યુનિ.તંત્રે કોરોના સંક્રમણને નિયંત્રિત કરવા મોટેરામાં આવેલી સંપાદ રેસીડેન્સીના વીસ મકાનમાં રહેતા ૭૬ લોકોને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકી ટેસ્ટીંગ સહિતની કામગીરી હાથ ધરી છે.શુક્રવારે શહેરમાં કોરોનાના નવા માત્ર બે કેસ નોંધાતા શહેરીજનોએ રાહત અનુભવી હતી.મ્યુનિ.હસ્તકની એસ.વી.હોસ્પિટલમાં હાલ કોવિડનો માત્ર એક દર્દી સારવાર હેઠળ હોવાનું આધારભૂતસૂત્રોમાંથી જાણવા મળે છે.

આ અંગે મળતી માહિતી મુજબ,અમદાવાદમાં બે દિવસમાં કોરોનાના ત્રીસ કેસ નોંધાયા બાદ શુક્રવારે નવા માત્ર બે કેસ નોંધાયા હતા.કોરોનાથી એક પણ મોત થયુ નથી.પાંચ દર્દી સાજા થતા રજા આપવામાં આવી હતી.એસ.વી.પી.હોસ્પિટલમાં હાલ કોવિડના માત્ર એક અને નોન કોવિડ સોથી વધુ પેશન્ટ સારવાર હેઠળ છે.શુક્રવારે ૩૨૩૩ લોકોને કોરોના વેકિસનનો પહેલો અને ૧૮૫૫૪ લોકોને બીજો એમ કુલ મળીને ૨૭૭૮૭ લોકોને કોરોના વેકિસન અપાઈ હતી. ઘર સેવા વેકિસન યોજના હેઠળ અત્યાર સુધીમાં ૩૨૫૪ લોકોએ રજીસ્ટ્રેશન કરાવતા ૨૭૨૬ લોકોને રસી આપવામાં આવી છે.ગુરુવારે ઈસનપુર વોર્ડના દેવકેસલના સંક્રમિત વિસ્તારને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યા બાદ શુક્રવારે મોટેરાની સંપાદ રેસીડેન્સીના સંક્રમિત વિસ્તારને માઈક્રોકન્ટેઈન્મેન્ટમાં મુકવામાં આવ્યો છે.