Gujarat

આવતીકાલે દેવભૂમિમાં દેશના રાષ્ટ્રપતિનું થશે આગમન: દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવશે

By GS Team
22 Mar 20222 mins read
This article was originally published on 22 Mar 2022
આવતીકાલે દેવભૂમિમાં દેશના રાષ્ટ્રપતિનું થશે આગમન: દ્વારકાધીશ મંદિરે શિશ ઝુકાવશે

- સુરક્ષા તથા તૈયારીઓ માટે તંત્ર સજ્જ બન્યું 

જામ ખંભાળિયા, તા.22 માર્ચ 2022

આગામી ગુરૂવાર તારીખ 24 માર્ચના રોજ દેશના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદનું હાલાર પંથકમાં આગમન થનાર છે. ગુરુવારે જામનગર જિલ્લામાં વિવિધ સામાજિક કાર્યક્રમો સાથે રાષ્ટ્રપતિ ગુરુવારે સવારે દ્વારકા પણ આવશે. જ્યાં ભગવાન દ્વારકાધીશના દર્શનનો લાભ લેશે.

ભારતના રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ ગુરૂવાર તારીખ 24 મીના રોજ દ્વારકા જિલ્લામાં આવનાર છે. આ અંગેની જાણવા મળતી વિગત મુજબ ગુરુવારે સવારે રાષ્ટ્રપતિ હેલિકોપ્ટર મારફતે સવારે 11 વાગ્યે દ્વારકાના હેલીપેડ ખાતે ઉતરાણ કરશે. ત્યાંથી તેઓ સીધા દ્વારકાધીશ મંદિર ખાતે જશે. અહીં તેઓ ભગવાન દ્વારકાધીશના દર્શન કરી અને બપોરે બારેક વાગ્યે સંભવતઃ સર્કિટ હાઉસ ખાતે ભોજન તથા થોડો વિરામ લેનાર હોવાનું જાણવા મળ્યું છે. ત્યારબાદ ત્રણ વાગ્યે રાષ્ટ્રપતિ પુનઃ જામનગર તરફ પ્રયાણ કરશે.

રાષ્ટ્રપતિ રામનાથ કોવિંદ સાથે ગુજરાતના રાજ્યપાલ આચાર્ય દેવવ્રતજી પણ સાથે જોડાનાર હોવાનું કહેવાય છે. જો કે આ સમગ્ર આયોજન અંગે સત્તાવાર સમય તથા કાર્યક્રમ હજુ સુધી જાણવા મળેલ નથી.

પોલીસ તંત્ર દ્વારા ચુસ્ત બંદોબસ્ત 

દેશના રાષ્ટ્રપતિ તથા સાથે સંભવત ગુજરાતના રાજ્યપાલ ગુરુવારે સવારે 11 થી બપોરે ત્રણ વાગ્યા સુધીના સમયગાળા દરમિયાન દ્વારકા પંથકમાં છે. ત્યારે આ માટેની તમામ સુરક્ષા વ્યવસ્થા તથા બંદોબસ્ત માટે દેવભૂમિ દ્વારકા જિલ્લા પોલીસ વડા સુનિલ જોશી ડી.વાય.એસ.પી. સમીર સારડા તથા સ્ટાફ દ્વારા મજબૂત સુરક્ષા વ્યવસ્થા હાથ ધરવામાં આવી છે. આ માટે દ્વારકાધીશ મંદિર તથા આસપાસના વિસ્તારોમાં પી.આઈ., પી.એસ.આઈ., સહિતનો પોલીસ સ્ટાફ તૈનાત કરવા માટેની વ્યવસ્થા કરવામાં આવી છે. પોલીસ સૂત્રોમાંથી મળતી માહિતી મુજબ આ આયોજન દરમ્યાન બે જિલ્લા પોલીસ વડા, છ ડી.વાય.એસ.પી., 13 પી.આઈ. તથા 45 પી.એસ.આઈ., સહીત 470 પોલીસ કર્મીઓ, ઉપરાંત એસ.પી.જી., એસ.આર.પી., હોમગાર્ડ સહિતનો સુરક્ષા કર્મીઓનો કાફલો ખાડાભાગે રહેશે.