20 લાખની વસ્તીવાળા પ્રયાગરાજમાં રહીશો કરતાં વીસ ગણા પ્રવાસીઓ, રૅકોર્ડ બ્રેક ટ્રાફિક
Summarized by AI; it may make mistakes. Check important info
Summarized by AI; it may make mistakes. Check important info

Record Breaking Traffic in Mahakubh 2025 : પ્રયાગરાજમાં મૌની અમાસના રોજ ગુજરાતમાંથી લાખોની સંખ્યામાં જનમેદની પ્રયાગરાજ અમૃત સ્નાન માટે પ્રયાણ કરી રહી છે ત્યારે અહીં પ્રયાગરાજથી પ્રવેશતાં પહેલાં વીસ કિલોમીટરથી જ વાહનો થંભી જતાં હોય એમ પ્રયાગરાજના પાર્કિંગ સુધી પહોંચતા મોટા ભાગના યાત્રાળુઓની બસો સાવ ધીમી ગતીએ ચાલી રહી છે. આમ તો અહીં દરેક રાજ્યના યાત્રિકો આવ્યા છે. ગુજરાતથી આવેલા મહંતો અને ટૂર ઓપરેટરોના અંદાજે એકલા ગુજરાતમાંથી જ ત્રીસ લાખથી વધુ યાત્રિકો હાલમાં પ્રયાગરાજના સંગમ સ્થળે ભેગા થયા છે.
મૌની અમાસ પહેલાં અમદાવાદથી પ્રયાગના બસ માર્ગ પર રૅકોર્ડ બ્રેક ટ્રાફિક
અમદાવાદથી 500 જેટલી બસો પ્રયાગરાજમાં અમૃતસ્નાન માટે પહોંચી છે ત્યારે અહીં પ્રગારરાજ પહેલાં વીસ કિલોમીટરનો રસ્તો કાપતાં કાપતાં મોટા ભાગની બસોને ચારથી છ કલાકનો સમય લાગ્યો હતો. અમદાવાદથી મૈહરના રસ્તે પ્રયાગરાજ પહોંચતા ટ્રાવેલ ઓપરેટરોએ જણાવ્યું હતું કે મોટા ભાગના મુસાફરો ખાધાપીધા વગર પ્રયાગરાજમાં પ્રવેશ્યા છે કારણ કે રસ્તામાં એટલો ટ્રાફિક હતો કે ક્યાંય જમવાની કે રસોઈની વ્યવસ્થા થઈ શકી નથી.
29મી તારીખનો ઉત્સાહ અને અમૃત સ્નાનના મહિમાને કારણે સમગ્ર દેશમાંથી ઉમટેલી જનમેદનીને કારણે સંગમ કિનારાના તમામ સેક્ટરોના તમામ ટેન્ટો ફૂલ થઈ ગયા હતા. જેના કારણે કડકડતી ઠંડીમાં પણ લોકોએ ખુલ્લામાં રાત વિતાવી હતી. જો કે કુંભમાં અનેક ભંડારાને કારણે ભોજનની સુવિધા છે છતાં પણ દરેક યાત્રિકે ભીડનો સામનો કરવો પડે છે.
આ પણ વાંચો: 'અચાનક બેરિકેડ તૂટ્યું અને બચવાની કોઈ જગ્યા ન મળી...' મહાકુંભમાં નાસભાગ અંગે પ્રત્યક્ષદર્શીનો ખુલાસો
દેશની પ્રમુખ કૉર્પોરેટ કંપનીઓએ અહીં ભંડારાની સુવિધા કરી છે જેમાંથી ગુજરાતની અનેક કંપનીઓએ પણ મહાકુંભમાં ખાસ ભંડારાનું આયોજન કર્યું છે.
ગુજરાતથી પહોંચેલા યાત્રિકોએ જણાવ્યું હતું કે પ્રયાગરાજના પાર્કિંગથી સંગમ સુધીનું અંતર 12 કિલોમીટરનું છે. જેમાં ભીડ છે અને ચાલવાનું છે. દરેકને મૌની અમાસની તાલાવેલી હોવાથી સામાન્ય કરતાં વધુ ભીડ અને તેમાંય પાર્કિંગથી બસ, રિક્ષા, ઈ-રિક્ષાની વ્યવસ્થા બંધ કરાતાં મોટા ભાગના યાત્રિકોએ ચાલીને સંગમ અને વિવિધ ઘાટ સુધી ચાલીને જવું પડ્યું હતું. લોકો અમૃત સ્નાન માટે ક્યાંય પણ ખુલ્લામાં સૂવા તૈયાર છે.
શૌચાદી ક્રિયાઓ માટે દોઢ લાખ શૌચાલયોનું નિર્માણ
આ અંગે વાત કરતાં અહીંના સ્થાનિક મીડિયા પ્રતિનિધિએ જણાવ્યું હતું કે પ્રયાગની વસ્તી વીસ લાખની છે જેની સામે વીસ ગણી વધુ જનમેદની જામી છે. પ્રયાગના મુખ્ય રસ્તાઓ પહોળા છે છતાં પણ આ જનમેદની સામે ગમે તેટલા પહોળા રસ્તાઓ પણ સાંકડા લાગે તેવી સ્થિતિ છે.
જો કે આ ભીડ ફરતી ભીડ હોવાથી એક દિવસ બાદ વિખરાઈ જશે તેવી સંભાવના છે. મોટા ભાગના લોકો સ્નાન કરીને તરત જ પાછા ફરતાં હોવાથી ચોવીસ કલાકમાં પરિસ્થિતિ સામાન્ય થઈ જશે.




