Gujarat

એલ.જી.હોસ્પિટલમાં પાંચ કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો !

By GS Team
22 Jan 20222 mins read
This article was originally published on 22 Jan 2022
એલ.જી.હોસ્પિટલમાં પાંચ કલાક સુધી વીજપુરવઠો ખોરવાયો !

અમદાવાદ,તા.22 જાન્યુઆરી 2022,શનિવાર

એલ.જી.હોસ્પિટલમાં શનિવારે સાડા છ વાગ્યાથી લઇને બપોરના ૧૨ વાગ્યા સુધી વીજપુરવઠો ખોરવાઇ જતા દોડધામ મચી જવા પામી હતી. દર્દીઓ, તેમના સગા, સ્ટાફ નર્સ, ડૉક્ટરો, સફાઇ કર્મચારીઓ, સિક્યુરીટીગાર્ડ સહિતના લોકોએ અંધારપટની સ્થિતિ વચ્ચે હાલાકી ભોગવવી પડી હતી. જોકે નવી બિલ્ડીંગમાં ઇમજરન્સી વોર્ડ, આઇસીયુમાં જનરેટરની મદદથી કામ લેવાની ફરજ પડી હતી.

મ્યુનિ.કોર્પોરેશન સંચાલિત એલ.જી.હોસ્પિટલમાં અવારનવરા વીજ પુરવઠો ખોરવાઇ જવાના કિસ્સા સામે આવતા હોય છે. હજુ  ગત તા. ૨૬ ડિસેમ્બરના રોજ આખી હોસ્પિટલમાં વીજ પુરવઠો ડુલ થયો હતો. 

આજે શનિવારે ફરી પાછો વીજ પુરવઠો અવરોધાતા લોકોએ ભારે પરેશાનીનો સામનો કરવો પડયો હતો. દર્દીઓના સગાઓના જણાવ્યા મુજબ સવારે ૬ઃ૩૦ થી લઇને બપોરના ૧૨ વાગ્યા સુધી વીજળી નહોતી. અંધરપટ વચ્ચે લોકોએ રહેવાની ફરજ પડી હતી. દર્દીઓની સારવારમા ંપણ નર્સોને તકલીફ પડી હતી. દવા આપવી, બાટલા ચડાવવા, ઇન્જેક્શનો મુકવા, કેસ પેપરમાં લખાણ લખવું , કેસ પેપર જોવા , સીડીઓ ઉતરવી, અવર-જવર કરવી સહિતની તમામ કામગીરી ધીમી ગતિએ અને સાચવીને જોખમ સાથે કરવાની ફરજ પડી હતી.

મ્યુનિ.બજેટમાં દર વર્ષે એલ.જી.હોસ્પિટલને કરોડો રૂપિયાના ગ્રાન્ટ અપાય છે, આ ગ્રાન્ટ ક્યાં વપરાય છે ? વીજ પુરવઠા જેવી સામાન્ય બાબત દર્દીઓને પજવી રહી છે તો તેનો કાયમી ઉકેલ કેમ લવાતો નથી ? શા માટે દર્દીઓએ અંધારપટમાં રહેવાની ફરજ પડી રહી છે ? સત્તાધીશો કેમ સમસ્યારૂપ બનતી જતી વીજ પુરવઠો ખોટકાવાની બાબતને ગંભીરતાથી લેતા નથી.

સ્માર્ટસિટીમાં મ્યુનિ.હોસ્પિટલમાં શેની વારંવાર વીજળી જતી રહે છે, ક્યા ક્ષતિ છે, ક્ષતિ કેમ કાયમી ધોરણે ઉકેલવામાં આવતી નથી ? શું બેદરકારી રાખીને મોટી આગ અકસ્માતની હોનારતની રાહ જોવાઇ રહી છે ? તે સહિતના અનેક  પ્રશ્ન દર્દીઓના સગામાં આજે દિવસભર ચર્ચાયો હતો. 

વીજ પુરવઠાના અભાવમાં જોકે જનરેટર ચાલુ કરી દેવાય છે અને ઇમરજન્સી કેસ હેન્ડલ કરાય છે પરંતુ અન્ય સામાન્ય દર્દીઓનો શું વાંક કે તેઓને અંધારપટ વચ્ચે રહેવું પડે છે ? મ્યુનિ.સત્તાધીશોએ આ મામલે ગંભીરતાથી વિચારણા કરીને વીજ સમસ્યાનો કાયમી ઉકેલ લાવવો જોઇએ તેવી માંગણી ઉઠી છે.