Get The App

'ગામનું પાણી બંધ થશે..', ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં

Updated: May 1st, 2026

GS TEAM

Google News
Google News
'ગામનું પાણી બંધ થશે..', ભરૂચના જંબુસરમાં ભાજપના ઉમેદવારે હારતાં જ તલવાર સાથે ધમકાવ્યાં 1 - image

BJP Candidate Threatens: લોકશાહીના પર્વ સમાન ચૂંટણીમાં હાર-જીત તો ચાલ્યા કરે છે, પરંતુ ભરૂચના જંબુસર તાલુકામાં એક ચોંકાવનારો કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. જંબુસરની કાવી-2 બેઠક પર ભાજપના ઉમેદવારની હાર થતા, તેણે અને તેના પિતાએ ખુલ્લી તલવાર સાથે સોશિયલ મીડિયા પર ફોટા વાઈરલ કરી ગામનું પાણી બંધ કરી દેવાની ધમકી આપી હોવાનો ગંભીર આક્ષેપ થયો છે.

શું છે સમગ્ર મામલો?

જંબુસર તાલુકા પંચાયતની કાવી-2 બેઠક પર ભાજપના ઉમેદવાર સકીલ ખાલીદ અહેમદ મલેક અને 'આપ'ના ઉમેદવાર સોહેલ મલેક વચ્ચે સીધી ટક્કર હતી. આ ચૂંટણીમાં 'આપ'ના ઉમેદવારનો વિજય થયો હતો. હારથી નારાજ થયેલા ભાજપના ઉમેદવાર સકીલ મલેક અને તેમના પિતા ખાલીદ અહેમદ મલેકે હાથમાં ખુલ્લી તલવાર સાથેના ફોટા સોશિયલ મીડિયા પર વાઈરલ કર્યા હતા. આ ફોટામાં સકીલ મલેકના ગળામાં ભાજપનો ખેસ પણ જોવા મળી રહ્યો છે.

'પાણી બંધ થશે, કોઈને વાંધો હોય તો મારો સંપર્ક કરે'

સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા મેસેજમાં અત્યંત ઉદ્ધત અને ધમકીભર્યા શબ્દોનો પ્રયોગ કરવામાં આવ્યો છે. મેસેજમાં જણાવવામાં આવ્યું છે કે, "કાન ખોલીને સાંભળી લેજો, આ કોઈ સામાન્ય સૂચના નથી પણ આખરી નિર્ણય છે. પાણી પુરવઠો હવેથી બંધ રહેશે. જો કોઈને આ બાબતે વાંધો કે પ્રશ્ન હોય તો બીજે ક્યાંય રજૂઆત કરવાને બદલે સીધો મારો સંપર્ક કરવો. ગામમાં હવે પાણી નહીં આવે."

આ પણ વાંચો: VIDEO | 'લારી પાછી આપો નહીં તો દારૂ વેચીશ..!' અમદાવાદમાં રોજગારી છીનવાતા વિધવા મહિલાની રડતી આંખે AMC કચેરીએ હૈયાવરાળ

ગામમાં પાણી પુરવઠો ખોરવાયો

સૂત્રો પાસેથી મળતી માહિતી મુજબ, મત ગણતરીના દિવસથી જ દહેગામમાં પાણી પુરવઠો બંધ થઈ ગયો છે. ગ્રામજનોમાં એવી ચર્ચા ચાલી રહી છે કે શું આ પાણી પુરવઠો ખરેખર ભાજપના હારેલા ઉમેદવારની ધમકી મુજબ જ બંધ કરવામાં આવ્યો છે? આ ઘટનાને પગલે સમગ્ર પંથકમાં ભારે ગરમાવો જોવા મળી રહ્યો છે.

પોલીસની કાર્યવાહીની ખાતરી

આ મામલે સ્થાનિક પોલીસે જણાવ્યું હતું કે સોશિયલ મીડિયા પર વાઈરલ થયેલા ધમકીભર્યા મેસેજો અને ફોટાઓની તપાસ કરવામાં આવશે. જો લોકોની જાહેર સુખાકારીને લગતી કોઈ બાબત હશે અને કાયદો-વ્યવસ્થાનું ઉલ્લંઘન જણાશે તો કડક કાર્યવાહી કરવામાં આવશે.

ચૂંટણીમાં પરાજય બાદ જનતાની પાયાની જરૂરિયાત એવી પાણીની સુવિધા રોકવાની ધમકી આપવી એ કેટલું યોગ્ય છે, તે લોકશાહી માટે મોટો પ્રશ્ન ઊભો કરે છે.