- જિલ્લા પોલીસવડાએ પોલીસબેડામાં રહેલી બદી નાથવાની જરૂર
- ખુંટવડા અને ઘોઘા પોલીસ સ્ટેશનના બે પીએસઆઈ વિરૂધ્ધ ફરિયાદ દાખલ
ભાવનગર શહેર-જિલ્લામાં પોલીસની કામગીરી પર સવાલો ઉઠયા છે તો ક્યાંક પોલીસ ખુદ ગુના આચરી રહી છે. ભાવનગર પોલીસબેડામાં હાલ ગુના આચરવાની મોસમ ખીલી હોય તેમ રોજબરોજ પોલીસ દ્વારા ગુના આચરવાના કિસ્સા પ્રકાશમાં આવી રહ્યા છે તો હવે સવાલ એ ઉઠવા પામ્યો છે કે, પોલીસ ખરેખર રક્ષક છે કે પછી ભક્ષક! તાજેતરમાં જ ઘોઘા પોલીસ મથકમાં ફરજ બજાવતા હેડ કોન્સ્ટેબલ પીએસઆઈના ત્રાસ અને ટોર્ચરથી કંટાળી ચાલુ ફરજ દરમિયાન પોલીસ સ્ટેશનમાંથી બહાર આવી ભૂતેશ્વર ગામે ઝેરી દવા ગટગટાવી આત્મહત્યા કરી લીધી હતી. જેમાં પરિવાર અને કરણીસેનાની માંગ બાદ પોલીસે ફરિયાદ નોંધી હતી, તો બીજી તરફ ખુંટવડા પોલીસ સ્ટેશનના પીએસઆઈએ યુવાનને મરણતોલ માર મારી ખુદ દવાખાનામાં દાખલ થઈ ગયા હતા. આ પ્રકરણમાં પણ માલધારી સમાજ સામે આવ્યો અને ન્યાયની માંગ કરી ત્યારે પોલીસે પીએસઆઇ વિરૂધ્ધ ફરિયાદ નોંધી હતી. આમ, પોલીસ જ્યારે ગુનાનું સામ્રાજ્ય સ્થાપી ગુના આચરવા લાગે તો પછી નિર્દોષ પ્રજાનું શું !! તેવા સવાલો લોકોમાં ચર્ચાઈ રહ્યા છે. બગદાણા પ્રકરણમાં ભાવનગર પોલીસે તપાસને આડા રવાડે ચડાવી ગુનેગારને છાવરવાનો પ્રયાસ કર્યો હતો. પોલીસબેડ પર લાંછન લાગ્યા છે ત્યારે આ પ્રકરણમાં ડીવાયએસપી સહિત બે પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસની તલવાર લટકી રહી છે. હવે જિલ્લા પોલીસવડા ત્રણ પોલીસ અધિકારીઓ વિરૂધ્ધ કેવી તપાસ કરી છે. તે જોવું રહ્યું અને પોલીસ બેડાની બદી દૂર કરી ગુનેગારો પર ધાક જમાવવી પડશે
જવાબદાર પોલીસ અધિકારી સામે તપાસ ચાલુ છેઃ એસપી
બગદાણા પ્રકરણમાં ડીવાયએસપી સહિત બે પોલીસ ઇન્સ્પેક્ટર સામે તપાસ કરવાના રેન્જ આઇજીના આદેશ બાદ તપાસનો દોર સાંભળી રહેલા એસપીએ જણાયું હતું કે, હજુ તપાસ ચાલે છે. અમારી ખાતાકીય કાર્યવાહી છે. તપાસના અંતે જે હશે એ જાહેર કરવામાં આવશે.


