Get The App

વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી

Updated: Mar 24th, 2026

GS TEAM

Google News
Google News
વ્યાજખોરો વિરૂધ્ધના લોક દરબારમાં પોલીસની વાહવાહી વધુ, અરજીઓ ઓછી 1 - image

માત્ર 20 અરજીઓ જ પોલીસને મળી

પીડિતોનો આક્ષેપઃ ઘણા ધક્કા ખાધાં છતાં પોલીસે કાર્યવાહી ન કરી, પીઆઈ સાથે પીડિતોની બોલાચાલી 

રાજકોટ: રૈયા રોડ પરના પ્રમુખ સ્વામી ઓડિટોરિયમ ખાતે વ્યાજખોરો વિરૂધ્ધ યોજાયેલા લોક દરબાર કમ જનસંપર્ક  સભામાં પોલીસને માત્ર ર૦ અરજીઓ જ મળી હતી, જેની સામે પોલીસની વાહવાહી કરનારા વધુ હતા.  ઓડિટોરિયમ ફૂલ હતું. આમ છતાં આટલી ઓછી અરજીઓ કેમ આવી તે અંગે સવાલ ઉભો થયો છે. 

ઓડિટોરિયમમાં પોલીસની વાહવાહી કરનારા કોણ હતા તે અંગે પણ  રહસ્ય સર્જાયું છે.  એક સ્થળે પીડિતો અને આજી ડેમ પોલીસ મથકના પીઆઈ વચ્ચે  બોલાચાલી થઈ હતી. જેમાં પીડિતોએ અનેક ધક્કા ખાધાં છતાં પોલીસે વ્યાજખોરો સામે કોઈ કાર્યવાહી નહીં કર્યાનો વસવસો દર્શાવ્યો હતો.  આજી ડેમના પીઆઈ સાથે બોલાચાલી થતાં લોક દરબારમાં હોબાળો મચી ગયો હતો. આખરે ક્રાઈમ બ્રાંચના પીઆઈએ વચ્ચે પડી મામલો થાળે પાડયો હતો. 

આ ઘટનાક્રમ પરથી એવું સ્પષ્ટ થયું છે કે પોલીસ વ્યાજખોરો વિરૂધ્ધની ફરિયાદો ઉપર બહુ ધ્યાન દેતી નથી. આ જ કારણથી વ્યાજખોરો બેફામ બની ગયા છે. જો પોલીસ મથક લેવલે જ વ્યાજખોરો વિરૂધ્ધ કડકાઈથી કાર્યવાહી કરવામાં આવે તો આ પ્રકારના લોક દરબાર કમ જનસંપર્ક સભાનું આયોજન કરવાની કોઈ જરૂર જ ન પડે તેમ જાણકારોનું કહેવું છે. 

આજના લોક દરબારમાં આવેલા દરેક અરજદારોની પોતાની વ્યથા હતી. શહેરમાં છેલ્લા ઘણાં સમયથી શેરીએ-ગલીએ ફૂટી નીકળેલા વ્યાજખોરો બેફામ બન્યા છે. વ્યાજખોરોની ચૂંગાલમાં ફસાયેલા અનેક પીડિતોએ આત્મહત્યા કરવી પડી છે. અનેક પીડિતોએ હિજરત પણ કરવી પડી છે, જે પોલીસની સ્પષ્ટ રીતે નિષ્ફળતા દર્શાવે છે. 

- ત્રણ-ત્રણ વખત અરજી કરી છતાં ન્યાય ન મળ્યો 

રાજકોટ: મવડી પ્લોટના અમરનગરમાં રહેતા પ્રમોદભાઈ ખાખરીયાએ એવી રજૂઆત કરી હતી કે સાંગણવા ચોક પાસે મહેતા બિલ્ડિંગમાં પુજારા ફાઈનાન્સના હિરેન પુજારા પાસેથી તેણે ૪ ટકા લેખે રૂા.૪.૯પ લાખ વ્યાજે લઈ બદલામાં ૧૧ તોલા સોનું ગિરવે મુકયું હતું. દર મહિને રૂા.૧૮ હજાર વ્યાજ ચૂકવતા હતા. પૈસાની વ્યવસ્થા થઈ જતાં મૂળ રકમ આપવા ગયા હતા પરંતુ હિરેન પુજારાએ સોનું પરત આપ્યું ન હતું, જેથી તેના વિરૂધ્ધ ત્રણેક વખત પોલીસમાં અરજીઓ કરી હતી. આમ છતાં પોલીસે કોઈ કાર્યવાહી કરી ન હતી. એટલું જ નહીં તમે સાચા હશો તો ભગવાન ઉપર ભરોસો રાખો એટલે તમારું સોનું પાછું આવી જશે તેમ કહી દર વખતે વળાવી દીધા હતા. ઉલ્લેખનીય છે કે અરજદારે ન્યાય નહીં મળતાં એ ડિવિઝન પોલીસ મથકમાં ફિનાઈલ પણ પીવું પડયું હતું.