PM Modi Gujarat Visit: વડાપ્રધાન નરેન્દ્ર મોદી આજે ગુજરાતની મુલાકાતે છે, સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટના ઉદ્ઘાટન બાદ તેઓ વાવ-થરાદ પહોંચ્યા હતા, વડાપ્રધાને કેન્દ્ર અને રાજ્ય સરકારના કુલ 19,806.9 કરોડના વિકાસકાર્યોનું લોકાર્પણ-ખાતમુહૂર્ત કર્યું હતું.
વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ આજે ઉત્તર ગુજરાતના વિકાસ કાર્યોના લોકાર્પણ સમયે ભૂતકાળની વિષમ પરિસ્થિતિઓને યાદ કરતાં જણાવ્યું કે, દાયકાઓ પહેલા ઉત્તર ગુજરાતની ઓળખ માત્ર સૂકા પ્રદેશ તરીકે થતી હતી. લોકોએ પાણી માટે દૂર દૂર સુધી ભટકવું પડતું હતું અને તત્કાલીન કોંગ્રેસ સરકાર દ્વારા આ વિસ્તારની સતત ઉપેક્ષા કરવામાં આવતી હતી.
સોલર એનર્જીમાં ગુજરાત બનશે વિશ્વનું કેન્દ્ર
વડાપ્રધાને વર્ષ 2010ના સમયને યાદ કરતાં કહ્યું કે, "આજથી 15-16 વર્ષ પહેલા મેં મુખ્યમંત્રી તરીકે ચારણકા (સારણપુર) ખાતે દેશના પ્રથમ સોલર પાર્કનું કામ શરૂ કરાવ્યું હતું. આ એક મલ્ટી ટૅક્નોલૉજી પાર્ક હતો જેણે દેશમાં સોલર મૂવમેન્ટની શરૂઆત કરી." આજે ખાવડા રિન્યુએબલ એનર્જી પાર્ક જેવી પરિયોજનાઓ સાથે ગુજરાત ટૂંક સમયમાં જ પુનઃપ્રાપ્ય ઊર્જા ક્ષેત્રે વિશ્વનું મોટું કેન્દ્ર બનીને ઊભરશે તેવો વિશ્વાસ તેમણે વ્યક્ત કર્યો હતો.
આ પણ વાંચો: 'આવનારા સમયમાં ભારત બનશે લીડર...', અમદાવાદના સાણંદમાં સેમિકન્ડક્ટર પ્લાન્ટનું ઉદ્ઘાટન
કનેક્ટિવિટી અને વિકાસને વેગ
વાવ, થરાદ અને બનાસકાંઠા પ્રત્યે પોતાનો વિશેષ લગાવ વ્યક્ત કરતાં તેમણે જણાવ્યું કે, ગુજરાતના ગામડે ગામડે પાકા રસ્તાઓ, હાઇ-સ્પીડ હાઇવે અને વંદે ભારત જેવી ટ્રેનોની સુવિધા પહોંચાડવાનું કામ મિશન મોડમાં કરવામાં આવ્યું છે. આજે આશરે 20 હજાર કરોડ રૂપિયાના પ્રોજેક્ટ્સ લોન્ચ કરવામાં આવ્યા છે, જે સમગ્ર ઉત્તર ગુજરાતની તસવીર બદલી નાખશે અને સ્થાનિક જીવનને નવી ગતિ આપશે.
ડીસા એરબેઝ: રાષ્ટ્રીય સુરક્ષાનો નવો મજબૂત પાયો
વડાપ્રધાને ખાસ નોંધ્યું કે આજે તેમનું વિમાન સીધું ડીસા એરબેઝ પર લૅન્ડ થયું, જે તેમના માટે ગૌરવની ક્ષણ છે. ડીસા એરબેઝ આંતરરાષ્ટ્રીય સરહદથી માત્ર 130 કિમી દૂર હોવાથી દેશની સુરક્ષા માટે અત્યંત મહત્ત્વનું છે. 'જ્યારે હું મુખ્યમંત્રી હતો ત્યારે જ આ એરબેઝ માટે જમીન સંપાદનનું કામ કર્યું હતું, પરંતુ દિલ્હીની તત્કાલીન સરકારે ગુજરાત પ્રત્યેના દ્વેષને કારણે આ ફાઇલો વર્ષો સુધી દબાવી રાખી હતી. તમે મને દિલ્હી મોકલ્યો અને મેં એ ફાઇલો બહાર કાઢી, જેના પરિણામે આજે એરફોર્સનો આ વિશાળ બેઝ તૈયાર થયો છે'
'દુનિયામાં યુદ્ધની સ્થિતિ, કોંગ્રેસનું ભાગલાવાદી રાજકારણ
વડાપ્રધાને કહ્યું કે, 'છેલ્લા એક મહિનાથી પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા યુદ્ધ અને અરાજકતાને કારણે વિશ્વભરમાં ઊર્જા સંકટ ઊભું થયું છે, તેમ છતાં ભારત પોતાની કુશળ વિદેશ નીતિ અને જનતાની એકતાને કારણે સંપૂર્ણપણે સ્થિર અને સુરક્ષિત છે. વડાપ્રધાને કડક શબ્દોમાં વિપક્ષી દળો, ખાસ કરીને કોંગ્રેસ પર નિશાન સાધતા કહ્યું કે, જ્યારે રાષ્ટ્રને એકતાની સૌથી વધુ જરૂર છે ત્યારે કોંગ્રેસ પક્ષ દેશમાં ભાગલાવાદી રાજકારણ રમીને ડર અને અફવાઓ ફેલાવી રહ્યો છે. રાજકીય સ્વાર્થ ખાતર દેશની સામૂહિક શક્તિને નબળી પાડવાના પ્રયાસો થઈ રહ્યા છે, પરંતુ ભારતની મજબૂત વિદેશ નીતિ અને નાગરિકોનો અતૂટ વિશ્વાસ કોઈપણ પડકારને માત આપવા સક્ષમ છે.'


