Get The App

દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી

Updated: Mar 20th, 2026

GS TEAM

Google News
Google News
દાડમના બગીચામાં ટેટી-તરબૂચનું વાવેતર કરી વીઘે 80 હજારની વધુ આવક રળી 1 - image

નવલગઢના ખેડૂતે મલ્ચિંગ અને ગ્રો-કવર ટેકનોલોજીના ઉપયોગથી

પરંપરાગત ખેતીમાં જ્યારે ખર્ચ વધે અને વળતર ઘટે, ત્યારે ખેડૂત નિરાશ થવાને બદલે 'વિચાર' બદલે તો તેનું નસીબ બદલાઈ શકે

ધ્રાંગધ્રા - ધ્રાંગધ્રા તાલુકાના નવલગઢ ગામના એક પ્રગતિશીલ ખેડૂતે ખેતીમાં નવો ચીલો ચાતરીને સાબિત કરી દીધું છે કે જો વૈજ્ઞાાનિક અભિગમ અપનાવવામાં આવે તો ખેતી ખરેખર નફાકારક વ્યવસાય બની શકે છે. નવલગઢના ખેડૂત પ્રકાશભાઈ પટેલ, જેઓ અગાઉ વર્ષોેથી કપાસ, ધાણા અને ચણા જેવી પરંપરાગત ખેતી કરતા હતા, તેમણે હવે આધુનિક બાગાયતી ખેતી તરફ વળીને લાખોની કમાણી કરી છે.

પ્રકાશભાઈએ પોતાની ૪૫ વીઘા જમીનમાં તરબૂચ અને ૩૦ વીઘામાં સાકર ટેટીનું સફળ વાવેતર કર્યું છે. તેમની સફળતાનું મુખ્ય રહસ્ય તેમની 'આંતરપાક' લેવાની કોઠાસૂઝ છે. તેમણે ૩૫ વીઘા જમીનમાં દાડમનો બગીચો બનાવ્યો છે. સામાન્ય રીતે દાડમનો પાક તૈયાર થતા લાંબો સમય લાગે છે, પરંતુ આ સમય દરમિયાન જમીન ખાલી રાખવાને બદલે તેમણે છોડની વચ્ચેની જગ્યામાં ટેટી અને તરબૂચ વાવ્યા છે. આનાથી મુખ્ય પાક તૈયાર થાય તે પહેલા જ ટૂંકા ગાળાના પાકો દ્વારા રોકડી આવક શરૃ થઈ જાય છે.

ખેતીમાં ગુણવત્તા જાળવવા માટે તેમણે મલ્ચિંગ અને ગ્રો-કવર જેવી ટેકનોલોજીનો ઉપયોગ કર્યો છે. મલ્ચિંગથી પાણીની બચત થાય છે અને નિંદામણનો ખર્ચ ઘટે છે, જ્યારે ગ્રો-કવર પાકને રોગ-જીવાત અને પ્રતિકૂળ હવામાનથી રક્ષણ આપે છે. આ માટે તેમણે સરકારના બાગાયત વિભાગની સબસિડીનો પણ લાભ લીધો છે.

પ્રકાશભાઈની ખેતપેદાશોની ગુણવત્તા એટલી ઉત્તમ હોય છે કે વેપારીઓ સામે ચાલીને ખેતરે આવી માલની ખરીદી કરે છે, જેનાથી ટ્રાન્સપોર્ટેશનનો ખર્ચ બચે છે. ગત વર્ષે તેમને વીઘે અંદાજે રૃ.૮૦,૦૦૦ સુધીની આવક થઈ હતી. આ વર્ષે પણ શિયાળુ અને ઉનાળુ પાક દ્વારા તેઓ લાખોની કમાણીની અપેક્ષા રાખી રહ્યા છે. તેમનું માનવું છે કે જાગૃત બનીને ખેતી કરવામાં આવે તો તે ક્યારેય ખોટનો ધંધો નથી.