Vadodara : વડોદરા શહેરના નવી ધરતી નાગરવાડા વિસ્તારના મેન રોડ પર આવેલી અને મહાનગરપાલિકા સંચાલિત જર્જરિત થયેલી શાળા તોડવાની ચાલતી કામગીરીથી વાહન ચાલકો અને સ્થાનિકો ત્રાહિમામ પોકારી ઊઠ્યા હતા.
આ રસ્તેથી દિવસ પર સેકડો વાહન ચાલકો અને રાહદારીઓ પસાર થતા હોય છે. એક સામાન્ય નિયમો મુજબ જ્યારે કોઈ મોટી બિલ્ડીંગ તોડવામાં આવે ત્યારે ધૂળ ન ઉડે તે માટે આજુબાજુમાં ગ્રીન નેટ ઢાંકવાની પ્રથા છે ઉપરાંત પાણીનો પણ સતત છંટકાવ કરવો જોઈએ. પરંતુ અહીંયા શાળા તોડતી વખતે તંત્ર દ્વારા આવી કોઈ તકેદારી રાખવામાં આવી નથી પરિણામે વાતાવરણમાં ઉડતી ધૂળની ડમરીઓના કારણે વાહનચાલકોની વિજીબીલીટી ઘટી રહી છે. પરિણામે અકસ્માત થવાની શક્યતાઓ વધી છે. આ ઉપરાંત આજુબાજુમાં અનેક દુકાનો આવેલી છે. ઉડતી ધૂળના થર દુકાનોમાં જામી જતા માલ સામાનને પણ નુકસાન થઈ રહ્યું છે. જોકે સ્થાનિક લોકોએ ફરિયાદ કરી હતી કે ધૂળના કારણે આંખોમાં બળતરા અને શ્વાસ લેવામાં પણ ભારે તકલીફ જેવી સમસ્યાઓ ઊભી થઈ છે. આ અંગે વારંવાર રજૂઆતો છતાં કોન્ટ્રાક્ટર કે પાલિકાના અધિકારીઓ દ્વારા આવી ગંભીર બેદરકારી પર ધ્યાન આપવામાં આવતું હોવાના પણ આક્ષેપો થયા હતા. પાલિકા પોતે જ પ્રદૂષણ ફેલાવવાના નિમિત બની રહી હોવાથી લોકોમાં ભારે રોષ વ્યાપ્યો હતો.


