Jamnagar GSRTC : જામનગર શહેરમાં સમર્પણ સર્કલ નજીક આજે એક અજીબો-ગરીબ દૃશ્ય જોવા મળ્યું હતું, જેમાં ગુજરાત રાજ્ય માર્ગ પરિવહન નિગમ (એસ.ટી.)ની બસ રસ્તા વચ્ચે અચાનક બંધ પડી જતાં મુસાફરોને ભારે મુશ્કેલીનો સામનો કરવો પડ્યો હતો. “સલામતની સવારી” તરીકે ઓળખાતી એસ.ટી.ની બસમાં મુસાફરી કરતા લોકો માટે આ અનુભવ નિરાશાજનક રહ્યો હતો.
માહિતી મુજબ, સમર્પણ સર્કલ પાસે બસમાં ટેક્નિકલ ખામી સર્જાતા બસ આગળ ચાલી શકી નહોતી. પરિણામે બસમાં બેઠેલા મુસાફરોને નીચે ઉતરીને બસને ધક્કા મારીને રસ્તા પરથી હટાવવાનો વારો આવ્યો હતો. આ દરમિયાન ત્યાંથી પસાર થતાં કેટલાક રાહદારીઓએ આ સમગ્ર ઘટનાનો વિડિયો પોતાના મોબાઇલમાં કેદ કર્યો હતો.
આ વિડિયો સોશિયલ મીડિયા પર વાયરલ થતાં શહેરમાં ચર્ચાનો વિષય બન્યો છે. લોકોમાં પ્રશ્નો ઉઠી રહ્યા છે કે, જ્યારે એસ.ટી. બસોને “સલામતની સવારી” તરીકે પ્રચાર કરવામાં આવે છે, ત્યારે આવી ઘટનાઓ મુસાફરોની સુરક્ષા અને સેવા ગુણવત્તા અંગે સવાલો ઉભા કરે છે.
સ્થાનિક નાગરિકોએ માંગણી કરી છે કે એસ.ટી. તંત્ર દ્વારા બસોની નિયમિત તપાસ અને જાળવણી કરવામાં આવે, જેથી આવનારા સમયમાં આવી પરિસ્થિતિઓ ઉભી ન થાય અને મુસાફરોને સલામત અને સુવિધાજનક મુસાફરી મળી રહે.આ ઘટના એસ.ટી.તંત્ર માટે ચેતવણીરૂપ બની છે, કે તેઓ પોતાની સેવાઓમાં સુધારો લાવે અને મુસાફરોનો વિશ્વાસ જાળવી રાખે.


