Gujarat
કારેલીબાગના ફ્લેટમાં ત્રીજા માળે ઊધઇની ટ્રિટમેન્ટ બાદ આગ લાગતાં અફરાતફરી
By GS TEAM
10 Jun 20261 min read

વડોદરાઃ કારેલીબાગમાં ત્રીજા માળે ફ્લેટમાં આગ લાગવાનો બનાવ બનતાં ભારે અફરાતફરી સર્જાઇ હતી.
આનંદ નગર ચાર રસ્તા પાસે આવેલા અમરદિપ કોમ્પ્લેક્સમાં ચારેક દિવસ પહેલાં જ ભાડેથી રહેવા આવેલા પરિવારને સામાન પણ ગોઠવવાનો બાકી હતો.
મળતી માહિતી મુજબ,આજે ફ્લેટમાં ઊધઇની ટ્રિટમેન્ટ કરવામાં આવી હતી અને ત્રણ કલાક પછી દરવાજો ખોલવાનું કહેવાયું હતું.ત્રણ કલાકનો સમય પુરો થવા આવે તેની પંદરેક મિનિટ પહેલાં જ મકાનમાંથી ધુમાડા નીકળવા માડતા આસપાસના રહીશો અને દુકાનદારો બહાર દોડી ગયા હતા.
આગમાં ઘરવખરી અને ઇલેકટ્રોનિક્સ સાધનોને નુકસાન થયું હતું.ફાયર બ્રિગેડની બે ટીમે આગ કાબૂમાં લીધી હતી.આગ લાગવાનું ચોક્કસ કારણ જાણી શકાયું નથી.








