Gujarat

રાષ્ટ્રીય ગણિત અધિવેશનમાં પાલિતાણાના વિદ્યાર્થી ઝળક્યા

By GS Team
22 Sep 20221 min read
This article was originally published on 22 Sep 2022
રાષ્ટ્રીય ગણિત અધિવેશનમાં પાલિતાણાના વિદ્યાર્થી ઝળક્યા

- સાંદિપની વિદ્યા સંકુલના ચાર વિદ્યાર્થીએ ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો

ભાવનગર


તાજેતરમાં પ્રયાગરાજ યુ.પી. ખાતે ૧૬મુ રાષ્ટ્રીય ગણિત અધિવેશન યોજાયું હતું જેમાં ગુજરાતનું પ્રતિનિધિત્વ કરી રહેલ સાંદિપની વિદ્યામંદિર પાલિતાણાના ધો.૮ના ચાર વિદ્યાર્થીઓએ ચાર સિલ્વર અને એક બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો.

ઉત્તરપ્રદેશ પ્રયાગરાજ પ્રતાપગઢ ખાતે હાલમાં ૧૬મુ રાષ્ટ્રીય ગણિત અધિવેશન યોજાયું હતું. આ અધિવેશનમાં દેશના અલગ અલગ ૨૦ રાજ્યોમાંથી ૩૦ શાળાઓએ ભાગ લીધો હતો. જ્યારે ગુજરાતનું પ્રતિનિધિત્વ ભાવનગર જિલ્લાની પાલિતાણા તાલુકાની સાંદિપની વિદ્યામંદિર સ્કૂલ, આદર્શ વિદ્યાલય માનવડએ કર્યું હતું. શાળામાંથી ધોરણ ૮ના ચાર વિદ્યાર્થીઓ આચાર્ય આશિષભાઇ મહેતા (ગણિત શિક્ષક) તથા કો-ઓર્ડીનેટર જગદિશભાઇ કારેલીયા સાથે ભાગ લેવા પ્રયાગરાજ પહોંચ્યા હતાં. જે અધિવેશનમાં રાષ્ટ્રીય ગણિત ક્વિઝમાં સાંદિપની શાળાના વિદ્યાર્થી તીર્થ અલ્પેશભાઇ ઉપાધ્યાય તથા તક્ષ મુકેશભાઇ પરમારે બીજો નંબર મેળવી સિલ્વર મેડલ મેળવ્યા હતાં તો રાષ્ટ્રીય પઝલ વિભાગમાં અર્ષ સલીમભાઇ સુમરા અને હેમચંદ્ર પ્રવિણભાઇ મંડળીએ બીજો નંબર મેળવી સિલ્વર મેડલ મેળવ્યો હતો. આ ઉપરાંત રાષ્ટ્રીય ગણિત અધિવેશનની ત્રીજી સ્પર્ધા પોયમની હતી જેમાં સુમરા અર્ષ સલીમભાઇએ ત્રીજો નંબર સાથે બ્રોન્ઝ મેડલ મેળવ્યો હતો. જે તમામ શાળાના વિદ્યાર્થીઓએ ડિસ્ટીક અને સ્ટેટ લેવલ પસાર કરી નેશનલ કક્ષાએ પણ ગણિતના વિષયમાં ડંકો વગાડી ગુજરાતને ગૌરવ અપાવ્યું હતું.