Get The App

ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે

Updated: Apr 27th, 2026

GS TEAM

Google News
Google News
ઓઝત નદીમાં આવતીકાલે રાત્રે ભર ઉનાળે પૂર આવશે 1 - image

જૂનાગઢ, વંથલી, મેંદરડા, માણાવદર, કેશોદ, માંગરોળના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા સુચના

જૂનાગઢ, : જૂનાગઢ નજીક આવેલા ઓઝત-ર ડેમના ગેઈટની મરામત કરવા માટે તા.ર૯ના રાત્રે 318.89 એમસીએફટી પાણીનો જથ્થો છોડવામાં આવશે. જેના કારણે જૂનાગઢ, વંથલી, મેંદરડા, માણાવદર, કેશોદ અને માંગરોળના ગ્રામ્ય વિસ્તારના લોકોને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે.

બિલખા નજીક આવેલા બાદલપુર પાસે ઓઝત-ર ડેમના ગેઈટનું રિપેરીંગ કામ કરવાનું હોવાથી સરકાર દ્વારા 318.89 એમસીએફટી જથ્થો નદીમાં છોડવા માટે મંજુરી આપવામાં આવી છે. તા. 30ના રાત્રે 69.27 મીટરનું ક્રેસ્ટ લેવલ જાળવવા માટે તા. 29ના રાત્રે 8 વાગ્યે નદીમાંથી પાણી છોડવામાં આવશે જેનો પ્રતિ સેકન્ડ પ્રવાહ 2 હજાર ક્યુસેક રાખવામાં આવશે. ડેમમાંથી પાણી છોડવામાં આવતા હેઠવાસના આણંદપુર, શાપુર, વંથલી, ઓઝત વિયર ટિકર સિંચાઈ યોજના ઓવરફ્લો થશે. તેમજ જૂનાગઢ, મેંદરડા, વંથલી, માણાવદર, કેશોદ અને માંગરોળ તાલુકામાં ઓઝત નદીમાં પુર આવશે આથી હેઠવાસના ગ્રામ્ય વિસ્તારના લોકોને નદીના પટમાં અવર-જવર ન કરવા અને સાવચેત રહેવા સુચના આપવામાં આવી છે. આમ, ગેઈટના રિપેરીંગ કામ માટે ડેમમાંથી પાણી છોડવામાં આવતા ઓઝત નદીમાં ભર ઉનાળે પુર આવશે.