Gujarat

રાજ્ય સરકારે ખેડૂત દીઠ 25 મણ ચણા ખરીદવા નિર્ણય કરતા આક્રોશ

By GS Team
1 Jun 20202 mins read
This article was originally published on 1 Jun 2020
રાજ્ય સરકારે ખેડૂત દીઠ 25 મણ ચણા ખરીદવા નિર્ણય કરતા આક્રોશ

સુરેન્દ્રનગર, તા. 1 જૂન 2020, સોમવાર

રાજ્ય સરકાર દ્વારા તાજેતરમાં ખેડુતો પાસેથી ચણાની ખરીદી શરૃ કરવામાં આવી છે ત્યારે માત્ર મર્યાદીત ખેડુતો પાસેથી ખરીદી કરવામાં આવતાં રાજ્યભરનાં ખેડુતો સહિત સુરેન્દ્રનગર જિલ્લાના ખેડુતોમાં રોષ જોવા મળ્યો છે અને સરકાર દ્વારા તાત્કાલીક ખરીદીમાં વધારો કરવામાં આવે અને ઝડપી ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.

આ અંગે સુત્રો પાસેથી મળતી માહિતી મુજબ સુરેન્દ્રનગર જિલ્લો ખેતી આધારીત જિલ્લો છે અને જિલ્લાભરના ખેડુતો તનતોડ મહેનત કરી પાકોનું વાવેતર કરે છે ત્યારે એક તરફ તાજેતરમાં કોરોના વાયરસ અને લોકડાઉનને પગલે ખેડુતોની હાલત કફોડી બની છે ત્યારે બીજી બાજુ સરકાર દ્વારા ચણા સહિત કપાસની ખરીદી શરૃ કરવામાં આવી છે પરંતુ રજીસ્ટ્રેશન બાદ માત્ર મર્યાદિત ખેડુતો પાસેથી જ ચણાની ખરીદી કરવામાં આવી રહી છે જેના કારણે ખેડુતોમાં રોષ જોવા મળી રહ્યો છે. 

સરકાર દ્વારા અગાઉ ખેડુતો પાસેથી ૧૨૫ મણ ચણાની ખરીદી કરવાની જાહેરાતો કરવામાં આવતાં ખેડુતોમાં આનંદની લાગણી ફેલાઈ જવા પામી હતી પરંતુ આ જાહેરાત માત્ર કાગળ પર જ હોય તેમ લાગી રહ્યું છે અને સરકાર દ્વારા માત્ર ૨૫ મણ ચણાની ખરીદી કરવામાં આવશે તેવાં મેસેજ કરવામાં આવતાં ખેડુતોમાં નિરાશા જોવા મળી છે સરકાર દ્વારા ૧૫૦ મણ ચણાની ખરીદીની જાહેરાત થતાં ખેડુતોએ ચણાનું વેચાણ કર્યું નહોતું અને ચણાનો જથ્થો સંગ્રહ કરી રાખ્યો હતો પરંતુ હવે માત્ર ૨૫ મણ ચણાની ખરીદીનો નિર્ણય કરવામાં આવતાં ખેડુતોને હાલત પડયા પર પાટું મારવા જેવી થઈ છે આથી સરકાર દ્વારા અગાઉની જાહેરાત મુજબ ખેડુત દીઠ ૧૫૦ મણ ચણાની ખરીદી કરવામાં આવે અને ઝડપથી આ ખરીદી કરવામાં આવે તેવી માંગ ઉઠવા પામી છે.