Gujarat

વરીયાવ ગામના ખેડૂતની કફોડી હાલત: વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પુત્ર અને વહુને કારણે વૃધ્ધ ખેડૂતે 20.55 લાખ ગુમાવ્યા

By GS Team
9 Dec 20212 mins read
This article was originally published on 9 Dec 2021
વરીયાવ ગામના ખેડૂતની કફોડી હાલત: વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પુત્ર અને વહુને કારણે વૃધ્ધ ખેડૂતે 20.55 લાખ ગુમાવ્યા




- ફાઇનાન્સરો ધમકી આપી ચેક અને રોકડ લઇ ગયા, ઉઘરાણીથી ત્રાસી ભત્રીજાના ઘરે રહેવા ગયા ત્યાં પણ પહોંચી ગયાઃ 10 ટકાનું તગડું વ્યાજ ગણ્યું હતું

સુરત
વરીયાવ ગામના દરજી ફળીયામાં રહેતા વૃધ્ધ ખેડૂતના પુત્ર અને પુત્રવધુએ ગામના જ વિધર્મી ફાઇનાન્સરો પાસેથી 10 ટકાના તગડા વ્યાજે લીધેલા લાખ્ખો રૂપિયાની સામે 20.55 લાખ પડાવી લીધા હોવા છતા ચપ્પુની અણીએ ઉઘરાણી કરી મારી નાંખવાની ધમકી આપતા મામલો જહાંગીરપુરા પોલીસમાં પહોંચ્યો છે. પોલીસે ચાર ફાઇનાન્સરની ધરપકડ કરી છે.
વરીયાવ ગામના દરજી ફળીયામાં રહેતા વૃધ્ધ ખેડૂત દલપત હરીભાઇ પટેલ (ઉ.વ. 80) ના ગત ઓક્ટોબરમાં મૃત્યુ પામનાર પુત્ર મનિષ અને તેની પત્ની છાયાએ ઉધારીમાં લીધેલા કરિયાણાના સામાનના 30 હજાર ચુકવવા જાન્યુઆરી 2021 માં નાદીર નામના યુવાન પાસેથી 1 લાખ લીધા હતા. નાદીરને 1 લાખ ચુકવવા મનિષ અને છાયાએ વરીયાવ ગામના રહેવાસી શહેબાઝ અને સૈયદ તલ્હા મુસ્તાક પાસે ઓરમા ગામનો પ્લોટ ગીરવે મુકી 10 ટકાના દરે 2 લાખ વ્યાજે લીધા હતા. આ રીતે મનિષ અને છાયાએ 10 ટકાના તગડા વ્યાજે લીધેલા રૂપિયા ચુકવવા અન્ય પાસેથી વ્યાજે લેવાનું શરૂ કરતા વ્યાજના વિષચક્રમાં ફસાય ગયા હતા. જે અંતર્ગત ઇસ્માઇલ ઉર્ફે રીઝવાન મોહમદ ખાંડીયા પાસેથી 1 લાખ, દાઉજી હમઝા ઝુબેર પાસેથી 1 લાખ ઓરમા ગામનો બીજો પ્લોટ ગીરવે મુકી 10 ટકાના દરે વ્યાજે લીધા હતા.


આવી જ રીતે ઝાકીર ઉર્ફે કાળીયા કાદર શેખ હસ્તક અબ્દુલ માજીદ સૈયદ પાસેથી 10 ટકાના દરે પ્રથમ વખત 2.50 લાખ અને ત્યાર બાદ 5.50 લાખ અને ઇસ્માઇલ ખાંડીયા પાસેથી 2 લાખ લીધા હતા. મનિષ અને છાયાએ સમયસર વ્યાજ અને મુદ્દલ પરત નહીં કરતા દલપતભાઇને ધાક-ધમકી આપી તેમની પાસેથી સૈયદ તલ્હાએ 4.05 લાખનો ચેક, ઇસ્માઇલ ખાંડીયાએ 3 લાખ, દાઉજી ઝુબેરે 2.50 લાખ અને અબ્દુલ માજીદે 8 લાખનો ચેક લઇ બેંકમાંથી જયારે ઝાકીર ઉર્ફે કાળીયાએ 3 લાખ રોકડા પડાવી લીધા હતા.


વ્યાજના વિષચક્રમાં ફસાયેલા પુત્ર અને પુત્રવધુના કારણે દલપતભઆઇએ 20.55 લાખ ગુમાવ્યા હતા અને ઉઘરાણીથી કંટાળી મોરાભાગળ નગરશેઠની વાડીમાં રહેતા ભત્રીજાને ત્યાં રહેવા આવી ગયા હતા. પરંતુ ઝાકીર ત્યાં પણ ઘસી આવ્યો હતો અને ચપ્પુની અણીએ ઉઘરાણી કરી ધમકી આપતા છેવટે ફરીયાદ નોંધાવી હતી.