Gujarat

સરથાણાની મહિલાના અંગદાનથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું

By GS Team
8 Dec 20231 min read
This article was originally published on 8 Dec 2023
સરથાણાની મહિલાના અંગદાનથી છ વ્યક્તિઓને નવજીવન મળ્યું

- મુળ અમરેલીના વતની રસીલાબેન ભેંસાનીયાના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુંઓનું દાન કરાયું ઃ ફેફસા છત્તીસગઢની મહિલાને ટ્રાન્સપ્લાન્ટ

  સુરત :

સરથાણામાં રહેતા મહિલાના ફેફસા, કિડની, લિવર અને ચક્ષુંઓનું દાન કરી છ વ્યક્તિઓને નવજીવન બક્ષી તેમના પરિવારે માનવતાની મહેક ફેલાવી સમાજને નવી દિશા બતાવી હતી.

મૂળ અમરેલી જિલ્લામાં બગસરા તાલુકામાં લુંધીયા ગામના વતની અને હાલ સરથાણામાં સીમાડા નાકા મણિનગર પાસે સહજાનંદ કોમ્પલેક્ષમાં રહેતા ૫૩ વર્ષીય રસીલાબેન જીતુભાઈ ભેંસાનીયાના ગત તા.૪થીએ  સવારે ઘરમાં નાસ્તો કરી રહ્યા હતા. ત્યારે તેમને ખેંચ આવતા પરિવારજનો એ તેમને તાત્કાલિક ખટોદરાની ખાનગી હોસ્પિટલમાં દાખલ કર્યા હતા. જયાં સીટી સ્કેન કરાવતા બ્રેઈન હેમરેજ હોવાનું નિદાન થયું હતું. બાદમાં તા.૬ઠ્ઠીએ ત્યાં ડોકટરોની ટીમે રસીલાબેન ને બ્રેનડેડ જાહેર કર્યા હતા.

આ અંગે ડોનેટ લાઈફની ટીમને જાણ થતા ત્યાં પહોચીને તેમના   પરિવારજનોએ અંગદાનનું મહત્વ સમજાવતા સમંતિ આપી હતી. જેથી ચક્ષુઓનું દાન લોકદ્રષ્ટિ ચક્ષુ બેંકએ સ્વીકાર્યું હતું. જયારે તેમના ફેફસાનું  છત્તીસગમાં રહેતા ૪૪ વર્ષીય મહિલામાં ગુરગાઉ, હરિયાણાની ખાનગી હોસ્પિટલમાં ડોકટરોની ટીમ દ્વારા ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવ્યુ હતું. આ સાથે દાનમાં મળેલા લિવર અને બંને કિડનીનું અમદાવાદની હોસ્પિટલમાં ત્રણ જરૃરિયાતમંદ દર્દીઓમાં ટ્રાન્સપ્લાન્ટ કરવામાં આવશે. જયારે રસીલાબેનના પતિ જીતુભાઈ (ઉ.વ -૫૩) સીમાડા ખાતે એમ્બ્રોઇડરી યુનિટ ધરાવે છે. તેમનો પુત્ર દિવ્યેશ (ઉ.વ -૨૯) સારોલીમાં એમ્બ્રોઇડરીનું યુનિટ ધરાવે છે અને પુત્રી રુચિકા (ઉ.વ -૨૬) પરણિત છે.