Gujarat

રાજ્યમાં રોપ-વે, ફુટ બ્રીજ અને ઓવર ક્રાઉડ લોકેશન તપાસવા આદેશ અપાયા

By GS Team
31 Oct 20222 mins read
This article was originally published on 31 Oct 2022
રાજ્યમાં રોપ-વે, ફુટ બ્રીજ અને ઓવર ક્રાઉડ લોકેશન  તપાસવા આદેશ અપાયા

અમદાવાદ

 મોરબીમાં મચ્છુ નદી પર ઐતિહાસિક ઝૂલતો બ્રીજ તુટવાની ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં લઇને રાજ્યમાં આવેલા તમામ રોપ-વે, ઓવર ક્રાઉડ જગ્યાઓ અને કેબલ બ્રીજની ફીટનેશ ચકાસણી માટે રાજ્ય સરકારે આદેશ આપ્યા છે. જે અનુસંધાનમાં પોલીસ, માર્ગ અને મકાન વિભાગ અને ફોરેન્સીક વિભાગોને સ્થાનિક તંત્ર સાથે સંકલન કરીને ફીટનેશ  સર્ટિફિકેટ સહિતની બાબતો તપાસવામાં આવશે. જે અનુસંધાનમાં દ્વારકામાં આવેલો કેબલ બ્રીજ સુદામાં બ્રીજ બંધ કરવામાં આવ્યો છે અને ફીટનેશ તપાસ્યા બાદ ફરીથી શરૂ કરવામાં આવશે.

દ્વારકાનો કેબલ બ્રીજ સુદામા સેતુ બંધ કરાયોઃ તમામ મહત્વના સ્થળના ફીટનેશ સર્ટિફિકેટ સહિતની બાબતોની ચકાસણી કરવામાં આવશે

મોરબીનો ઝૂલતો બ્રીજ તુટવાની દૂર્ઘટના બાદ રાજ્ય સરકાર એક્શન મોડમાં આવી છે.  પોલીસ વિભાગ, ફોરેન્સીક ્વિભાગ અને માર્ગ અને મકાન વિભાગના અધિકારીઓને તાકીદ કરી છે. જુનાગઢ, અંબાજી અને પાવાગઢમાં આવેલા રોપ વે, વિવિધ ફુટ ઓવર બ્રીજની ફીટનેશની ચકાસણી કરવા માટે જણાવવામાં આવ્યું છે.  જેમાં તેની લોડીંગ ક્ષમતા, મજબુતાઇ, મટીરીયલ તપાસવા માટેની કામગીરી કરવા માટે સુચના આપવામાં આવી છે. જે કામગીરીનો રિપોર્ટ પણ જે તે જિલ્લાના કલેક્ટર દ્વારા રાજ્ય સરકારને સોંપવાનું કહેવામાં આવ્યું છે. આ ઉપરાંત, દ્વારકા, પોરબંદરમાં બોટીંગ સમયે પણ ક્ષમતા કરતા વધારે લોકોને બેસાડવામાં આવે છે. જેથી આ બોટીંગની કામગીરીનો રિપોર્ટ તૈયાર કરવા  માટે સ્થાનિક તંત્રને જાણ કરવામાં આવી છે.ગુજરાતમાં પાવાગઢ, ડાકોર અને દ્વારકા અને સાંરંગપુર હનુમાન  સહિતના અનેક મંદિરોમાં તહેવારો દરમિયાન મંદિરની ક્ષમતા કરતા વધારે લોકોને પ્રવેશ આપવામાં આવે છે. આવા સમયે ભાગદોડ થવાની શક્યતાને લઇને સ્થાનિક તંત્રએ અનેકવાર રિપોર્ટ પણ કર્યા છે. તેમ છંતાય, ક્રાઉડ મેનેજમેન્ટ કરવામાં ન આવતા મોટી દૂર્ઘટના બનવાની શક્યતા રહે છે. જેથી હવે મંદિરના ટ્રસ્ટ સંચાલકો સાથે બેઠક યોજીનેે મંદિરોમાં ક્ષમતાથી વધારે ભીડ ન થાય તે માટે યોગ્ય આયોજન કરવા માટે સુચના આપવામાં આવી છે.

 

અટલબ્રીજ પર પ્રતિ કલાક ત્રણ હજાર લોકોને જ પ્રવેશ અપાશે

મોરબીની ઘટનાને પગલે સતર્કતા દાખવીને સાબરમતી રિવરફ્રન્ટ ડેવલપમેન્ટ કોર્પોેરેશન લિમિટેડ દ્વારા સોમવારે મહત્વની જાહેરાત કરી છે. અટલ ફુટ ઓવરબ્રીજની ક્ષમતા એકસાથે ૧૨ હજાર જેટલા મુલાકાતીઓ ઉભા રહી શકે તેવી છે.તેમ છંતાયસાવચેતીના ભાગરૂપે પ્રતિ કલાકે માત્ર ૩૦૦૦ મુલાકાતીઓને જ પ્રવેશ આપવામાં આવશે. જેથી ભીડને ટાળી શકાય. આ નિર્ણય બાદ બ્રીજની બહારના તરફ ખુબ મોટા પ્રમાણમાં લોકોને રાહ જોવી પડે તેવી સ્થિતિ સર્જાય શકે છે. જેથી તંત્રએ લોકોને સહયોગ આપવા માટે અપીલ કરી છે.