- સ્વભંડોળની રકમ તળિયાઝાટક, લોન લેવાનો વખત આવ્યો
- દોઢ કરોડનું બિલ ચૂકવી દીધા છતાં કચરા નિયમન અને નિકાલનું કોઈ કામ ન થયાનો આક્રોશ ઠાલવ્યો
સિહોર ન.પા.ની મળેલી સામાન્ય સભા પૂર્ણ થયા બાદ ઠરાવના પ્રોસેડીંગ તાત્કાલિક આપવાનું જણાવી પાછલા દરવાજેથી અમુક મુદ્દાઓ ઉમેરી દેવામાં આવતા હોવાનો વિપક્ષના નેતાએ આરોપ લગાવ્યો હતો. ગત સભામાં અમુક ઠરાવો બહુમતીના બદલે સર્વાનુમતે પસાર કર્યાનુ નોંધવામાં આવ્યું હોય, તેનું પુનરાવર્તન ન થાય તેવું કહેતા પ્રમુખે ભૂલથી લખાય ગયાનું સ્વીકાર્યું હતું. ઉથરેટીની જગ્યામાં આશરે દોઢ કરોડ જેટલી રકમના બિલ ચૂકવી દેવાયા છતાં કચરા નિયમન અને નિકાલનું કોઈ કામ કરાયું નથી. મશીનરી પણ જોવા મળતી નથી. તો એજન્સી સામે શું કાર્યવાહી કરાઈ તેવા ગત સામાન્ય સભામાં પૂછાયેલા સવાલનો હજુ સુધી કોઈ જવાબ આપવામાં આવ્યો નથી.
ન.પા.માં કેટલાક સભાસદોએ લોહીના સબંધ ધરાવતા કેટલાક લોકોને નોકરી પર રખાવ્યાનો આક્ષેપ કરાયો હતો. સ્વચ્છતા અભિયાન હેઠળ ૨૩ જીવીસી સેન્ટરો પાછળ ૧૯થી ૨૦ લાખનો ખર્ચ કરવા છતાં સરકારના નિયમ મુજબ બનેલ ન હોય, લોકોને તેનો પૂરો લાભ મળતો નથી. વોટર વર્કસ, ડંકી વિભાગમાં ગત વર્ષની તુલનામાં ત્રણ ગણી રકમના ખર્ચાના બિલો ચૂકવવામાં આવ્યા હોય, જે બાબતે અપક્ષ અને વિપક્ષે ઉહાપોહ મચાવ્યો હતો. નગરપાલિકાની સ્વભંડોળની રકમ તળિયાઝાટક કરી નાંખવામાં આવતા કર્મચારીઓને ગ્રેચ્યુટીની રકમ ચૂકવવા લોન લેવાનો વારો આવ્યો હોય, તેવા આક્ષેપો સાથે સભ્યોએ દેકારા પડકારા કર્યા હતા.


