Gujarat

યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના 259 વિદ્યાર્થીઓમાંથી 54 વિદ્યાર્થીઓ જ પરત ફર્યા

By GS Team
7 Mar 20221 min read
This article was originally published on 7 Mar 2022
યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના 259 વિદ્યાર્થીઓમાંથી 54 વિદ્યાર્થીઓ જ પરત ફર્યા

4 માર્ચ, 2022

અમદાવાદ : ઓપરેશન ગંગા હેઠળ યુક્રેનમાં અટવાયેલા દેશના વિદ્યાર્થીઓને પાડોશી દેશોમાંથી સ્વદેશ પરત લાવવા માટે સરકાર એક બાદ એક ફ્લાઈટ દોડાવી રહી છે. જોકે અમદાવાદ જિલ્લાના 259 વિદ્યાર્થીઓ યુક્રેનમાં ફસાયા હોવાનો ઓનરેકોર્ડ આંકડો છે. તેમાંથી અત્યાર સુધીમાં 54 વિદ્યાર્થીઓ પાછા ફર્યા છે તેવી માહિતી અમદાવાદ કલેક્ટર સંદીપ સાગલેએ આપી છે.

યુદ્ધગ્રસ્ત યુક્રેનમાં ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના પરિવારજનોની મુલાકાત લેતા કલેક્ટર સંદીપ સાગલે કહ્યું કે બાકીના વિદ્યાર્થીઓ ઝડપથી સ્વદેશ પાછા ફરશે. સરકાર દરેક વિદ્યાર્થીઓને સકુશળ સ્વદેશ પરત લાવવા માટે દિવસરાત કામ કરી રહી છે.

તેમણે યુક્રેનમાં ફસાયેલા વિદ્યાર્થીઓના પરિવારજનોને આશ્વસ્ત કરતાં કહ્યું કે, ગુજરાત સરકાર સંકટની આ ઘડીમાં આપની સાથે છે. સ્વદેશ પાછા આવી રહેલ ભારતીયોને જેતે સ્થળ પરથી તેમના ઘર સુધી પહોંચાડવાની તમામ વ્યવસ્થા રાજ્ય સરકારે કરી છે.

અમદાવાદના વિદ્યાર્થીઓની મુલાકાતે સાગલે

યુક્રેનમાં પ્રવર્તમાન યુદ્ધની સ્થિતિને કારણે ફસાયેલા અમદાવાદના વિદ્યાર્થીઓના પરિવારજનોની અમદાવાદ જિલ્લા કલેક્ટર સંદીપ સાગલેએ આજે મુલાકાત લીધી હતી. કલેક્ટર સંદીપ સાગલે શુક્રવારે સવારે રાણીપ વિસ્તારના બાલકૃષ્ણ શર્માના ઘરે પહોંચ્યા હતા અને ત્યાં જઇને તેમના પુત્ર શિવમ શર્મા વિશે માહિતી પ્રાપ્ત કરી હતી. કલેક્ટરએ મોટેરા વિસ્તારમાં રહેતા હેમંતભાઇ પટેલ જેમના પત્ની તેજલબેન પણ યુદ્ધગસ્ત યુક્રેનમાં ફસાયા હતા તેમના વિશેની માહિતી પ્રાપ્ત કરી હતી.