Gujarat

જસરા મેળાના ત્રીજા દિવસે અશ્વોના હેરત અંગેજ કરતબોએ આકર્ષણ જમાવ્યું

By GS Team
21 Feb 20202 mins read
This article was originally published on 21 Feb 2020
જસરા મેળાના  ત્રીજા દિવસે અશ્વોના હેરત અંગેજ કરતબોએ આકર્ષણ જમાવ્યું

લાખણી,તા.20 ફેબ્રુઆરી 2020, ગુરૂવાર

જસરા ગામે બુઢેશ્વર મહાદેવ મંદિરે યોજાતા શિવ તેમજ અશ્વમેળાને માણવા નાના બાળકોથી લઈ મોડેરા સુધી આવે છે. અને અશ્વ કરતબો સાથે અહીં લાગેલ આનંદ મેળાની વિવિધ રાઈડસ અને ખાણી-પીણીના સ્ટોલનો આનંદ લે છે. હાલ તો આ નાનકડું જસરા ગામ બુઢેશ્વર મહાદેવ મંદિરના ઓમ નમઃ શિવાયના નાદ અશ્વોની હણહણાટી અને આનંદ મેળાની કીકીયારીઓના ત્રિવેણી સંગમથી સુંદર દર્શન કરાવી રહ્યું છે.

ગુજરાત રાજ્યનો સૌથી મોટો ચાર દિવસનો મેઘા અશ્વ શો લાખણી તાલુકાના જસરા ગામે ચાલી રહ્યો છે. ત્યારે મેળાના ત્રીજા દિવસે સવારથી જ અશ્વ મેદાન ખાતે અશ્વ નાચ, રેવાલ ચાલ, ટેન્ટ પેગિંગ, જમ્પિંગ શો, ચાલીસ કિલોમીટરની એન્ડયુરન્સ રેસ અને સૌથી થકરનાક એવી પાટીદોડ યોજાઈ હતી. દરેક હરીફાઈમાં અશ્વ અને અશ્વ સવારોએ જોરદાર કરતબ બતાવી હતી. જેમાં જજ કમિટી દ્વારા વિડીયોગ્રાફી સાથે મૂલ્યાંકન કરવામાં આવ્યું હતું અને ત્યારપછી નિર્ણય જાહેર કરવામાં આવ્યો તો. આમ જસરા જેવું નાનકડુ ગામ અશ્વની કળાઓ અને માનવ મહેરામણથી હિલોળે ચડયું હતું.

બુઢેશ્વર મેળા સમિતિના અધ્યક્ષ મહેશભાઈ દવેએ જણાવ્યું કે જસરા ગામે દર વર્ષે શિવરાત્રી પર્વ ઉપર ચાર દિવસ અશ્વ મેળાનું આયોજન કરવામાં આવે છે. જે દર વર્ષની જેમ આ વર્ષે પણ બુઢેશ્વર મહાદેવ મેળા સમિતિ દ્વારા ૧૮ ફેબુ્રઆરી થી ૨૧ ફેબુ્રઆરી ચાર દિવસ અશ્વ મેળાનું આયોજન કરવામાં આવ્યું છે. જે અશ્વ મેળામાં ગુજરાત સહિત અન્ય રાજ્યોમાંથી અશ્વ પાલકો પોતાના અશ્વો લઈ આ અશ્વ મેળામાં આવ્યા છે અને અહીં યોજાતી અશ્વની વિવિધ હરીફાઈમાં ભાગ લઈ અશ્વ જોડે દિલધડક કરતબ કરાવી લોકોને મનોરંજન પુરુ પાડી રહ્યા છે.