હાઈકેલ કંપનીના સંચાલકોના ઘરે નોટિસ ચોંટાડાઈ : ભાગેડું જાહેર કરાશે

- ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફરી મુંબઈ પહોંચી
- સંચાલકો મળતા ન હોવાથી CRPC 70 મુજબનું વોરંટ મેળવાશે : પોલીસ કમિશનર
સુરત, : સચિન જીઆઇડીસી કેમિકલ ગેસ દુર્ઘટનાકાંડમાં હાઈકેલ કંપનીના સંચાલકો મળતા ન હોય સુરત પોલીસ હવે સીઆરપીસી 70 મુજબ કોર્ટમાંથી તેમની ધરપકડ માટે વોરન્ટ ઈશ્યુ કરાવી તેમને ભાગેડુ જાહેર કરવા કાર્યવાહી કરશે તેમ પોલીસ કમિશનરે જણાવ્યું હતું. દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચની ટીમ ફરી મુંબઈ પહોંચી છે.
સચિન જીઆઈડીસીની ખાડીમાં મુંબઈની હાઈકેલ સહિત ચાર કંપનીએ કેમિકલ છોડતા ઉદભવેલા ગેસથી 6 નિર્દોષના મોતના બનાવમાં ક્રાઈમ બ્રાન્ચની ટીમ કંપનીના સંચાલકોનું નિવેદન નોંધવા મુંબઈ પહોંચી હતી. જોકે, એમ.ડી અને અન્યો ક્રાઈમ બ્રાન્ચને મળ્યા નહોતા. ક્રાઈમ બ્રાન્ચે કંપનીની નરીમાન પોઈન્ટ સ્થિત ઓફિસ અને બેલાપુરની ઓફિસમાં તપાસ હાથ ધરી કેટલાક દસ્તાવેજી પુરાવા એકત્ર કર્યા હતા. ક્રાઈમ બ્રાન્ચે તમામના નિવેદન નોંધવા માટે તેમની શોધખોળ કરી હતી. પણ તેઓ ભૂગર્ભમાં ઉતરી જતા તેમને તપાસમાં નિવેદન નોંધાવવા નોટીસ બજવી હતી. તેમ છતાં હજુ સુધી કોઈ સંચાલક ક્રાઈમ બ્રાન્ચ સમક્ષ હાજર થયો નથી.

આથી સુરત પોલીસે હવે તેમની ધરપકડ માટે સીઆરપીસી 70 મુજબનું વોરન્ટ ઈશ્યુ કરાવી તેમને ભાગેડુ જાહેર કરવા કાર્યવાહી કરશે તેમ પોલીસ કમિશનર અજયકુમાર તોમરે જણાવ્યું હતું.દરમિયાન, ક્રાઈમ બ્રાન્ચની ટીમ તેમની તપાસ માટે ફરી મુંબઈ પહોંચી છે.




