Gujarat

માઝૂમના જંગલ વિસ્તારમાં નીલગાય અને ભૂંડ મૃત હાલતમાં મળી આવ્યા

By GS Team
23 Jan 20222 mins read
This article was originally published on 23 Jan 2022
માઝૂમના જંગલ વિસ્તારમાં નીલગાય અને ભૂંડ મૃત હાલતમાં મળી આવ્યા

બાયડ,તા. 22

બાયડના ઉંટરડાના માઝૂમ નદીના જંગલ વિસ્તારના આંબલિયારા ચેક ડેમ વિસ્તારમાં નીલગાય અને ભૂંડ મૃત હાલતમાં મળી આવી છે અને વનવિભાગના અધિકારીઓ દોડી આવ્યા હતા અને ઘટના સ્થળનું નિરિક્ષણ કર્યું હતું. જેમાં જંગલી પ્રાણીએ નીલગાય અને ભૂંડનું મારણ કર્યું હોવાનું પ્રાથમિક અનુમાન વનવિભાગે સેવાઇ રહ્યુ છે. જયારે દિપડાએ પશુઓનું મારણ કર્યું હોવાનું સ્થાનિકોનું કહેવું છે. એટલું જ નહીં આ વિસ્તારોમાં ખેડૂતો ખેતરમાં જતાં પણ જંગલી પ્રાણીઓથી ડરી રહ્યા છે.

બાયડ તાલુકાના આંબલીયારા ઉંટરડા વિસ્તારમાં ઉતરાયણ અગાઉ દિવસે દિપડાના પગના નિશાન દેખાતા ખેડૂતોમાં ભયનો માહોલ ઉભો થયો હતો. વનવિભાગ દ્વારા પાંજરા મૂકીને સર્ચ કરવામાં આવ્યું હતું. ત્યારબાદ ૧૯ તારીખે  દિપેશ્વરી માતાજીના મંદિર પાસે દીપડાએ કુતરા ઉપર હુમલો કર્યાની વાત આવતા વન વિભાગ દ્વારા દિપેશ્વરી માતાજીના મંદિર પરિસર તેમજ અન્ય જગ્યાએ સીસીટીવી કેમેરા દ્વારા સર્ચ કરતા દીપડાના પગલાંથી અન્ય કોઈ ભાળ મળી ન હતી  નીલ ગાય અને ભૂંડ મૃત હાલતમાં મળતા ફરીથી આ વિસ્તારમાં ગભરાટ ફેલાયો હતો. આજે વનવિભાગના અધિકારીએ જણાવ્યું હતું કે વનવિભાગની ટીમ જે તે સ્થળની મુલાકાત લીધી હતી નીલગાય મૃત્યુ પામી છે પરંતુ તે અન્ય કોઇ કારણસર જંગલી પ્રાણીઓએ નીલ ગાયનું મારણ કરેલું હોય તેવું દેખાય છે નીલ ગાયના ગળામાં કે અન્ય કોઇ જગ્યાએ દીપડાએ મારણ કર્યું હોય તેવું જણાતું નથી. વન વિભાગ દ્વારા આ વિસ્તારમાં પાંજરૃ પણ મુકેલું છે તેમજ વનવિભાગની ટીમ હાલમાં તપાસ કરી રહી છે.

જોકે સ્થાનિક લોકો કહી રહ્યા છે  છેલ્લા કેટલાંક સમયથી દિપડો ચાર ગામની સીમમાં આટાંફેરા કરી રહ્યો છે અને વનવિભાગે દિપડાનું વધુ પાજરાં મૂકીને ઝડપી પાડે. ખેડૂતો ખેતરમાં જવા માટે દિપડાના કારણે ડરી રહ્યા છે.