Gujarat

ખિજડિયા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી નજીકના શિપયાર્ડ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચિંતા વ્યક્ત કરી, તપાસનો આદેશ આપ્યો

By GS Team
6 Feb 20221 min read
This article was originally published on 6 Feb 2022
ખિજડિયા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી નજીકના શિપયાર્ડ પર નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ચિંતા વ્યક્ત કરી,  તપાસનો આદેશ આપ્યો

ખિજડિયા, તા. 6. ફેબ્રુઆરી 2022 રવિવાર

નેશનલ ગ્રીન ટ્રિબ્યુનલે ખિજડિયા વાઈલ્ડ લાઈફ સેન્ચુરી નજીકના સાચણા ખાતેના શિપયાર્ડની પ્રવૃત્તિઓને લઈને ચિંતા વ્યક્ત કરી છે.

ટ્રિબ્યુનલની પુણે બેન્ચ દ્વારા ગુજરાત સરકારને શિપયાર્ડ દ્વારા પર્યાવરણના નિયમોનો ભંગ થતો હોવાની મળેલી અરજી પર તપાસ કરવા માટે એક કમિટિ બનાવવાનો આદેશ આપ્યો છે.

ટ્રિબ્યુનલ સમક્ષ થયેલી અરજીમાં આક્ષેપ કરવામાં આવ્યો છે કે, શિપયાર્ડ દ્વારા પક્ષીઓ માટેના ખિજડિયા અભ્યારણ્યની ઈકોલોજીને નુકસાન પહોંચાડવામાં આવી રહ્યુ છે.

ટ્રિબ્યુનલે ગુજરાત સરકારને ચાર સપ્તાહમાં તપાસ કરીને અહેવાલ સુપરત કરવા માટે હુકમ કર્યો છે.તપાસ માટે ગુજરાત પોલ્યુશન કંટ્રોલ બોર્ડને તમામ મદદ કરવાનો આદેશ પણ આપ્યો છે.આ કમિટિમાં ગુજરાત મેરિટાઈમ બોર્ડ, ગુજરાત પોર્ટ ડિપાર્ટમેન્ટના પ્રતિનિથિ, પ્રિન્સિપલ ચીફ કન્ઝર્વેટર ઓફ ફોરેસ્ટના એક પ્રતિનિધિ તેમજ જીપીસીબીના મેમ્બર સેક્રેટરી સામેલ હશે.

સાચણા ખાતેનુ શિપબિલ્ડિંગ યાર્ડ 1977માં સ્થપાયુ હતુ અને 2011-12માં તેની કામગીરી બંધ થઈ ગઈ હતી.જોકે એ પછી જંગલ વિભાગે પર્યાવરણને લઈને જે વાંધા રજૂ કર્યા હતા તેનો ઉકેલ આવી ગયો છે તેમ કહીને સરકારે આ શિપયાર્ડ ફરી શરુ કરવાની લીલી ઝંડી આપી હતી.