Jamnagar Crime : જામનગરમાં બે દિવસ પહેલા સરકારી જી.જી. હોસ્પિટલ સામે થયેલી મારામારીના વાયરલ વિડીયો પ્રકરણમાં વધુ એક મહત્વનો ખુલાસો સામે આવ્યો છે. હોસ્પિટલ સામે થયેલા હુમલાના બનાવ પાછળનું મૂળ કારણ ખોડીયાર કોલોની નજીક આવેલા ક્રિસ્ટલ મોલ પાસે અગાઉ બનેલો હુમલાનો બનાવ હોવાનું પોલીસ તપાસમાં બહાર આવ્યું છે. આ મામલે હવે હુમલાનો ભોગ બનેલા યુવકે આરોપી સામે પોલીસ ફરિયાદ નોંધાવતા પોલીસે ગુનો નોંધી વધુ તપાસ હાથ ધરી છે.
પોલીસ ફરિયાદ મુજબ, જામનગરના સ્વામિનારાયણનગર વિસ્તારમાં રહેતા રૂદ્રભાઈ રજનીશભાઈ રાઠોડ પોતાના મિત્ર મહાવીરસિંહ ચૌહાણની એક્ટિવા લઈને તા.11/05/2026 ની મધરાત્રિના સમયે ખોડીયાર કોલોની પાસે આવેલા ક્રિસ્ટલ મોલ નજીકથી પસાર થઈ રહ્યા હતા. દરમિયાન આરોપી જયદીપસિંહ ઉર્ફે બંધુક જાડેજા મોટરસાયકલ લઈને પાછળથી આવી પહોંચ્યો હતો. આરોપી અને રૂદ્રભાઈના મિત્ર મહાવીરસિંહ વચ્ચે અગાઉથી ઝઘડો ચાલતો હોવાથી આરોપીએ ઉશ્કેરાઈ તલવાર વડે હુમલો કર્યો હતો.
ફરિયાદ મુજબ, આરોપીએ રૂદ્રભાઈ પર તલવારના ઘા ઝીંકતા ડાબા હાથની કોણી પાસે તેમજ શરીરના ભાગે ઇજા પહોંચી હતી અને સારવાર દરમિયાન તેમને હાથમાં ટાંકો પણ આવ્યો હતો. એટલું જ નહીં, આરોપીએ ભુંડી ગાળો બોલી “હવે મહાવીરસિંહ સાથે મિત્રતા રાખીશ તો જાનથી મારી નાખીશ” તેવી ધમકી પણ આપી હોવાનું ફરિયાદમાં નોંધાયું છે. આ બનાવ અંગે સીટી સી પોલીસ સ્ટેશનમાં ભારતીય ન્યાય સંહિતા 2023 ની કલમ 118(1), 352, 351(3) તથા જી.પી.એક્ટ કલમ 135 મુજબ ગુનો નોંધવામાં આવ્યો છે.


