Get The App

અમદાવાદ: મેગા નવરાત્રી ઇવેન્ટમાં સ્પોન્સરશિપના બહાને રૂ. 4.75 કરોડની છેતરપિંડી, સરખેજ પોલીસમાં ફરિયાદ

Updated: Jun 8th, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: મેગા નવરાત્રી ઇવેન્ટમાં સ્પોન્સરશિપના બહાને રૂ. 4.75 કરોડની છેતરપિંડી, સરખેજ પોલીસમાં ફરિયાદ 1 - image
નવરાત્રીની પ્રતીકાત્મક તસવીર 

Ahmedabad Navratri Fraud: અમદાવાદમાં ગત નવરાત્રી ઇવેન્ટ દરમિયાન રૂ. 3.25 કરોડની સ્પોન્સરશિપ લાવી આપવાની ખાતરી આપી, મુખ્ય આયોજક પાસેથી આશરે રૂ. 1.50 કરોડના વીઆઇપી (VIP) પાસ અને ટિકિટો મેળવીને છેતરપિંડી આચરવામાં આવી હોવાની ફરિયાદ સરખેજ પોલીસ મથકે નોંધાઇ છે. આ છેતરપિંડીને કારણે આયોજકને મોટા પાયે આર્થિક નુકસાન વેઠવાનો વારો આવ્યો છે.

બોપલ વિસ્તારમાં આવેલા ઇસ્કોન પ્લેટિનિયમમાં રહેતા અર્જુનભાઇ ભુતિયાએ આ મામલે ફરિયાદ નોંધાવી છે. ફરિયાદ અનુસાર, વર્ષ 2025માં તેઓ એક ભવ્ય નવરાત્રી ઇવેન્ટનું આયોજન કરવાના હતા. તે દરમિયાન સપ્ટેમ્બર 2025ની આસપાસ તેમની મુલાકાત થલતેજના 'વેરાન્ટીસ એપાર્ટમેન્ટ'માં રહેતા અનિલ વિભાણી સાથે થઇ હતી. અનિલે અર્જુનભાઇને વિશ્વાસમાં લેતાં જણાવ્યું હતું કે, તે પોતે પણ મોટી ઇવેન્ટ્સ ઓર્ગેનાઇઝ કરે છે અને તેમની નવરાત્રી ઇવેન્ટ માટે સવા ત્રણ કરોડ રૂપિયાની સ્પોન્સરશિપ લાવી આપશે. અનિલની આ ખાતરી પર ભરોસો રાખીને અર્જુનભાઇએ એસ.પી. રિંગ રોડ પર એક મેગા નવરાત્રી ઇવેન્ટનું આયોજન કર્યું હતું, જેમાં તેમણે આશરે 12 કરોડ રૂપિયા જેટલો માતબર ખર્ચ કર્યો હતો.

જો કે, ઇવેન્ટ શરૂ થયા બાદ અનિલે નક્કી કર્યા મુજબની સવા ત્રણ કરોડની સ્પોન્સરશિપ અપાવી ન હતી. એટલું જ નહીં, તેણે અર્જુનભાઇ પાસેથી આશરે દોઢ કરોડ રૂપિયાની કિંમતના વીઆઇપી પાસ અને ટિકિટો મેળવી લીધી હતી. આમ, સ્પોન્સરશિપ ન લાવી આપીને અને પાસ પડાવી લઇને અનિલે આયોજકને કુલ રૂ. 4.75 કરોડનું મોટું નુકશાન કરાવ્યું હતું.

આ ઘટના બાદ જ્યારે અર્જુનભાઇએ પોતાના નાણાંની ઉઘરાણી કરી, ત્યારે શરૂઆતમાં અનિલે પૈસા ચૂકવી દેવાની ખાતરી આપી હતી. પરંતુ ત્યારપછી તેણે નાણાં આપવાનો સ્પષ્ટ ઇનકાર કરી દીધો હતો અને અર્જુનભાઇને જાનથી મારી નાખવાની ધમકી આપી હતી. આ અંગે અર્જુનભાઇની ફરિયાદના આધારે સરખેજ પોલીસે ગુનો નોંધીને કાયદેસરની કાર્યવાહી હાથ ધરી છે.