Gujarat Monsoon Update: નર્મદા જિલ્લાના રાજપીપળા એરોડ્રામની ખુલ્લી જમીનમાં ટીટોડીએ ચાર ઈંડાં મૂક્યા છે. સામાન્ય રીતે ટીટોડી જે રીતે અને જ્યાં ઈંડાં મૂકે, તેના પરથી ખેડૂતો વરસાદનો વરતારો (આગાહી) નક્કી કરતા હોય છે. 21મી સદીના આ ડિજિટલ યુગમાં પણ ખેડૂતો આજે પણ ટીટોડીના ઈંડાંને આધારે જ વરસાદનું અનુમાન લગાવીને ખેતીની શરૂઆત કરે છે.
ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ
હાલ ઉનાળાની ઋતુ ચાલી રહી છે અને ગરમીનો પારો પણ સતત વધી રહ્યો છે. ઉનાળાની આકરી ગરમી બાદ લોકો સારા ચોમાસાની રાહ જોતા હોય છે. લોકવાયકા મુજબ, ચોમાસા પહેલાં ટીટોડી જ્યાં ઈંડાં મૂકે તેના આધારે આગામી ચોમાસું કેવું રહેશે તેનો અંદાજ લગાવી શકાય છે. ભવિષ્યના વરસાદની આગાહી કરવા માટે ટીટોડીના ઈંડાંનું સ્થાન, સંખ્યા અને તેની સ્થિતિ ખૂબ જ મહત્વપૂર્ણ માનવામાં આવે છે. ટીટોડી સામાન્ય રીતે જમીન પર જ ઈંડાં મૂકે છે અને તેના આધારે જ ચોમાસાની આગાહી થાય છે. એવું માનવામાં આવે છે કે ટીટોડી જેટલા ઈંડાં મૂકે, તેટલા મહિના સારો વરસાદ થાય છે.
કેવી રીતે લગાવાય છે અનુમાન
સામાન્ય રીતે જો ટીટોડી 4 ઈંડાં મૂકે, તો 4 મહિના સારો વરસાદ થવાનું અનુમાન લગાવાય છે. જો ટીટોડી કોઈ ઊંચા, પથરાળ કે સુરક્ષિત ભાગે ઈંડાં મૂકે, તો ભારે વરસાદ અને પૂરની સ્થિતિ સર્જાઈ શકે છે. પરંતુ જો તે સાવ ખુલ્લી જમીન પર ઈંડાં મૂકે, તો વરસાદ ઓછો અથવા મોડો આવવાના સંકેત ગણાય છે. આ ઉપરાંત, જો ઈંડાંનો અણીવાળો ભાગ નીચે તરફ હોય અને ઈંડાં ઊભાં હોય, તો સારો વરસાદ થાય છે. જો કોઈ ઈંડું આડું કે જમીનને સમાંતર પડ્યું હોય, તો તે દરમિયાન એકાદ મહિના વરસાદની ખેંચ વર્તાઈ શકે છે.
આ પણ વાંચો: સ્માર્ટફોન પણ ન સમાય એવી જીન્સની આ નાનકડી પોકેટ કેમ બનાવાઈ? જાણો 150 વર્ષ જૂનો ઇતિહાસ
આજના ડિજિટલ, કમ્પ્યુટર અને ટેક્નોલોજીના વિજ્ઞાન યુગમાં પણ ખેડૂતો ટીટોડીના ઈંડાં પરથી કરાતા વરસાદના વરતારા પર અતૂટ વિશ્વાસ રાખે છે. રાજપીપળા એરોડ્રામ ખાતે ટીટોડીએ જે ચાર ઈંડાં મૂક્યા છે, તેમાં ત્રણ ઊભાં અને એક આડું છે. આ સ્થિતિ પરથી એવો વરતારો નીકળે છે કે આ વર્ષે ચોમાસાના ત્રણ મહિના ખૂબ સારા રહેશે, જ્યારે એક મહિનો વરસાદ નબળો રહેશે. જો કે, આ જૂની લોકમાન્યતા છે, પરંતુ કેટલીકવાર આ વરતારો જોગાનુજોગ સાચો સાબિત થતો આવ્યો છે.


