| (FILE PHOTO) |
Nal Se Jal Yojana: પાટનગર ગાંધીનગર દૂષિત પાણીને કારણે ટાઈફોઈડની ચપેટમાં આવ્યું છે. નલ સે જલ યોજના થકી ઘર ઘર સુધી શુધ્ધ પાણી પહોચાડવાની ડીંગો હાંકવામાં આવી રહી છે ત્યારે કેન્દ્રીય જળ શક્તિ મંત્રાલયે જ ગુજરાતની કડવી વાસ્તવિકતાને ઉજાગર કરી છે.
નલ સે જલની પોકળ સાબિતી: 57% ઘરો શુદ્ધ પાણીથી વંચિત
ફંક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ રિપોર્ટમાં એવા તારણો રજૂ થયાં છેકે, ગુજરાતમાં માત્ર 47 ટકા ઘરોમાં નળ દ્વારા પીવાલાયક પાણી પહોંચી શક્યુ છે. ખુદ સેન્ટ્રલ પોલ્યુશન કંટ્રોલ બોર્ડના મતે, વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં ગુજરાત દેશમાં 30મા ક્રમે રહ્યું છે. આ પરથી ગુજરાતમાં પીવાલાયક શુધ્ધ પાણીની શું સ્થિતી છે તેનો અંદાજ આવી શકે તેમ છે.
પીવાલાયક પાણી માટે હજુ પણ વલખાં
છેલ્લાં 30 વર્ષથી વધુ સમયથી ગુજરાત પર ભાજપનું શાસન રહ્યુ છે ત્યારે કમનસીબી એ છે કે, લોકો હજુય પીવાલાયક પાણીથી પણ વંચિત રહ્યાં છે. ચિંતાની વાત એ છે કે, અન્ય રાજ્યો કરતાં પણ ગુજરાતમાં પીવાના પાણીની ગુણવત્તા નબળી કક્ષાની રહી છે. ડિસોલ્વેડ ઓક્સિજન, બાયોકેમિકલ ઓક્સિજન ડિમાન્ડ, પીએચ અને કોલિફોર્મ બેક્ટેરિયા જેવા પરિબળોને ધ્યાનમાં રાખીને વોટર ક્વોલિટી ઈન્ડેક્સ તૈયાર કરવામાં આવ્યો છે. પશ્ચિમ બંગાળ, ઝારખંડ, છતીસગઢ જેવા રાજ્યોથી પણ ગુજરાત વોટર ક્વોલિટી ઈન્ડેક્સમાં પાછળ છે.

પાટનગરમાં પણ પાણીની તંગી
સમગ્ર દેશની વોટર ક્વોલિટી ઈન્ડેક્સ જોતાં ગુજરાતનો ઈન્ડેક્સ 63 ટકા રહ્યો છે. આ ઉપરાંત ફક્શનાલિટી એસેસમેન્ટ ઓફ હાઉસહોલ્ડ ટેપ કનેકશન્સ મુજબ જિલ્લા પ્રમાણે કેટલા ઘરોમાં નળના માધ્યમથી પીવાલાયક પાણી પહોંચી રહ્યું છે તેના આંકડા ચોંકાવનારા છે. આજે પાટનગર ગાંધીનગરમાં 31.9 ટકા અને મેટ્રો સિટી અમદાવાદમાં 46.1 ટકા ઘરોમાં જ પીવાલાયક પાણી પહોંચે છે.
દૂષિત પાણીને કારણે ટાઈફોઈડ જેવા પાણીજન્ય રોગોનો ખતરો
દાહોદ અને બનાસકાંઠામાં તો એકેય ઘરમાં નળમાં પીવાલાયક પાણી આવતુ નથી. અન્ય જીલ્લાઓમાં પણ નળ દ્વારા પણ પીવાલાયક પાણી મળી રહ્યું નથી. આ પરથી અંદાજ લગાવી શકાય તેમ છે કે, ગુજરાતમાં મોટાભાગના વિસ્તારોમાં લોકો અશુધ્ધ-દૂષિત પાણી પી રહ્યાં છે જેના કારણે ટાઇફોઇડ જેવા પાણીજન્ય રોગોને નોતરુ મળી રહ્યું છે. 33 પૈકી 19 જિલ્લામાં 50 ટકાથી પણ ઓછા ઘર સુધી નળ દ્વારા પીવાલાયક પાણી મળે છે.


