Get The App

નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ

Updated: May 27th, 2026

GS TEAM

Google News
Google News
નડિયાદ પોક્સો કોર્ટનો ઐતિહાસિક ચુકાદો: સગીરા પર દુષ્કર્મ આચરી ફોટા વાઈરલ કરનાર નરાધમને 20 વર્ષની સખત કેદ 1 - image


Nadiad Pocso Court Landmark Verdict : ખેડા જિલ્લાની સ્પેશિયલ પોક્સો અદાલતે મહિલા સુરક્ષા અને સાયબર ક્રાઇમ સંદર્ભે એક અત્યંત મહત્વપૂર્ણ અને દાખલારૂપ ચુકાદો સંભળાવ્યો છે. મહેમદાવાદ પંથકમાં સગીરાના ઘરમાં ઘૂસી ધમકી આપી અવારનવાર દુષ્કર્મ આચરવા તથા તેના ફોટા સોશિયલ મીડિયા પ્લેટફોર્મ ઇન્સ્ટાગ્રામ પર વાઈરલ કરનાર નરાધમ આરોપીને અદાલતે 20 વર્ષની સખત કેદની સજા ફટકારી છે. ખાસ અદાલતે ગુનાની ગંભીરતાને ધ્યાને રાખી આરોપીને રૂ. 41,000 નો દંડ અને પીડિતાને રૂ. 1 લાખનું વળતર ચૂકવવાનો પણ હુકમ કર્યો છે.

બ્લેકમેઇલિંગ કરી આચર્યું નરાધમે કૃત્ય

કેસની વિગતો મુજબ, આ ચકચારી ઘટના મહેમદાવાદ પોલીસ સ્ટેશનની હદમાં આવેલા અકલાચા ગામે બની હતી. ગામમાં અવારનવાર આવતો આરોપી હિમંત ઉર્ફે આકલો ઘનશ્યામભાઈ પટેલ, સગીરા ઘરમાં એકલી હતી, ત્યારે બળજબરીપૂર્વક અંદર ઘૂસી ગયો હતો, અને સગીરાને જાનથી મારી નાખવાની ધમકી આપી પ્રથમ વખત દુષ્કર્મ ગુજાર્યું હતું. ત્યારબાદ, ભોગ બનનારને ફોટો વાઈરલ કરવાની ધમકી આપી અવારનવાર શારીરિક શોષણ કર્યું હતું. આટલેથી ન અટકતા, નરાધમે પોતાના ઇન્સ્ટાગ્રામ આઇડી પર પીડિતાના ફોટા અપલોડ કરી સોશિયલ મીડિયા પર તેની ગરિમાને ઠેસ પહોંચાડી હતી.

કોર્ટમાં 22 દસ્તાવેજી પુરાવા અને 9 સાક્ષીઓની જુબાની

પીડિત પક્ષ દ્વારા મહેમદાવાદ પોલીસ મથકે IPC, પોક્સો (POCSO) એક્ટ તેમજ આઇટી (IT) એક્ટ હેઠળ ગુનો નોંધાવવામાં આવ્યો હતો. પોલીસે ગુનાની સંવેદનશીલતા સમજી ત્વરિત કાર્યવાહી કરી આરોપીની ધરપકડ કરી કોર્ટમાં સચોટ ચાર્જશીટ રજૂ કરી હતી. કેસની સુનાવણી દરમિયાન સરકારી વકીલ દ્વારા ધારદાર અને કાયદાકીય દલીલો રજૂ કરવામાં આવી હતી. ગુનો સાબિત કરવા માટે પ્રિઝીડિંગ ઓફિસર સમક્ષ 9 મૌખિક સાક્ષીઓ અને 22 જેટલા સખત દસ્તાવેજી પુરાવાઓ રજૂ કરવામાં આવ્યા હતા.

તમામ સજા એકસાથે ભોગવવાનો હુકમ

સ્પેશિયલ પોક્સો જજ પી. પી. પુરોહિતે સરકારી પક્ષના પુરાવા અને દલીલોને ગ્રાહ્ય રાખી આરોપી હિમંત ઉર્ફે આકલાને કસૂરવાર ઠેરવ્યો હતો. ન્યાયાધીશે ગુનેગારને 20 વર્ષની આકરી સજા ફટકારતા સ્પષ્ટ કર્યું હતું કે, તમામ સજાઓ આરોપીએ એકસાથે ભોગવવાની રહેશે. આ ઉપરાંત, ભોગ બનનાર સગીરાને માનસિક આઘાત અને પીડાના વળતર પેટે ગૃહ વિભાગના પ્રવર્તમાન ઠરાવ મુજબ રૂ. 1,000,00 (એક લાખ) ચૂકવવાનો આદેશ કરાયો છે.