Gujarat

અરવલ્લી જિલ્લાના ત્રણથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનના જુદા-જુદા શહેરમાં અટવાઇ ગયા

By GS Team
25 Feb 20222 mins read
This article was originally published on 25 Feb 2022
અરવલ્લી જિલ્લાના ત્રણથી વધુ વિદ્યાર્થીઓ યુક્રેનના જુદા-જુદા શહેરમાં અટવાઇ ગયા

મોડાસા, બાયડ, તા.24

આખરે રશિયાએ યુક્રેન ઉપર હવાઈ હુમલાઓ શરૃ કરતાં સમગ્ર દેશમાં ભયનો માહોલ સર્જાયો છે. ત્યારે તબીબી શિક્ષણ માટે યુક્રેન ગયેલા અરવલ્લી  જિલ્લાના ૩ છાત્રો જુદાજુદા શહેરોમાં ફસાઈ ગયા છે. અને ભારતીય એમ્બેસીનો સંપર્ક થતો ન હોવાથી ભયભીત બનેલા આ છાત્રો અને  તેમના પરીવારજનોમાં મોટી ચિંતા પ્રસરી છે. ત્યારે ભારત સરકાર ત્વરીત મદદ પહોંચાડે તેવી માંગ ઉઠી છે,જોકે ભારત સરકાર દ્વારા જરૃરી મદદ,માર્ગદર્શન માટે એમ્બેસીનો ટ્રોલ ફ્રી નંબર જારી કર્યો હોવાનું અરવલ્લી જિલ્લા કલેકટરે જણાવ્યું હતું અને આવા અસરગ્રસ્ત પરિવારજનોને ન ગભરાવવા અને હિંમત સાથે ધીરજ રાખવા અપીલ કરી હતી.  રશિયા સરકારે હવાઈ હુમલા કરી યુક્રેનમાં ભયનું વાતાવરણ  સર્જી દીધું છે. ત્યારે યુક્રેનમાં તબીબી શિક્ષણના અભ્યાસ અર્થે ટરનોપોલી સીટીમાં સ્થાઈ થયેલા ભિલોડા તાલુકાના નાદોજના ભાવેશ વણજારા,ચેર્નીવત્સીમાં રહેતા કુલદીપ પટેલ અને બાયડ તાલુકાના પીપોદરા ગામના ધુમ્રિત પટેલના પરિવારજનોમાં ચિંતા છવાઈ હતી. યુક્રેનના ટરનોપોલી શહેરમાં અભ્યાસ અર્થે રહેતા ભાવેશ વણજારાએ વિડીયો બનાવી મોકલ્યો છે અને આ વિડીયોમાં હાલ કીવનું એરપોર્ટ મુસાફરો માટે બંધ કરાતાં અને ભારતીય એમ્બેસીનો સંપર્ક નહી થતો હોવાનું  જણાવ્યું હતું.

યુધ્ધના પગલે આ છાત્રો અને તેમના પરિવારજનોમાં ફલાયેલા ભય વચ્ચે આ છાત્રોએ ભારત સરકાર જરૃરી મદદ પહોચાડે તેવી આશા ભરી માંગ કરી હતી. અરવલ્લી જિલ્લા કલેકટર ર્ડા.નરેન્દ્રકુમાર મીનાનો સંપર્ક કરતાં તેઓએ પણ હાલ યુક્રેનમાં ફસાયેલા ગુજરાતના ૧૧ છાત્રો પૈકી બે છાત્રો અરવલ્લી જિલ્લાના હોવાનું જણાવ્યું હતું અને આ છાત્રો સંભવીત તમામ મદદ પહોંચાડવા તંત્ર કટિબધ્ધ હોવાનું  જણાવ્યું હતું.