ધોળકા: ખાનપુર ખાતે 8 જેટલા નરાધમોએ સગીરાને પીંખી નાખી, પોલીસનું મૌન

અમદાવાદ, તા. 12 માર્ચ 2022, શનિવાર
અમદાવાદ જિલ્લાના ધોળકા ખાતે એક સગીર યુવતી ઉપર આઠ જેટલા વ્યક્તિઓએ સામૂહિક દુષ્કર્મ કર્યું હોવાની ચોંકાવનારી ઘટના બહાર આવી છે. આટલી સંવેદનશીલ ઘટના અંગે પોલીસ ફરિયાદ થઈ છે, તપાસ પણ શરૂ થઈ છે પણ ઘટનાની વિગતો અંગે અત્યારે સત્તાવાર રીતે પોલીસ અધિકારીઓ તરફથી કોઈ વિગત જાહેર કરવામાં નથી આવી રહી.
જેટલી વિગતો ઉપલબ્ધ છે એ અનુસાર આ ઘટનાનો ભોગ બનનારી યુવતીને પ્રાથમિક સારવાર ધોળકા ખાતે આપ્યા બાદ, સ્થિતિ ગંભીર હોવાથી અમદાવાદ ખસેડવામાં આવી છે. યુવતીએ પોલીસને નિવેદન આપ્યું છે પણ તે અંગે કોઈ માહિતી અત્યારે જાહેર કરવામાં આવી નથી.
ગુરૂવારે રાત્રિના સમયે ધોળકાથી આશરે 5 કિમી દૂર આવેલા ખાનપુર ગામ પાસે ખેતરમાં સામૂહિક દુષ્કર્મની આ ઘટના બની હતી અને તેમાં 8થી પણ વધારે લોકો સંડોવાયેલા હોવાની શક્યતા છે.
સૂત્રોએ જણાવ્યું હતું કે ઘટના સ્થળેથી ફોરેન્સિક સેમ્પલ અને અન્ય પુરાવા એકત્ર કરવા માટે ગાંધીનગર ફોરેન્સિક સાયન્સ લેબોરેટરીની એક ટીમ પણ પહોંચી હતી.
આ બ્રેકિંગ ન્યુઝ છે, વધારે વિગતો મેળવવામાં આવી રહી છે.




