Get The App

સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન

Updated: Feb 17th, 2026

GS TEAM

Google News
Google News
સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી 3 હજારથી વધુ શ્રમિકો બેરોજગાર- સુત્રોચ્ચાર સાથે આવેદન 1 - image

મામલતદાર મોડા આવતા શ્રમિકોએ કલાકો સુધી રાહ જોવી પડી

સરકારે લેખિતમાં બાંહેધરી આપી છતાં પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા ૧૩ દિવસથી ઉદ્યોગ ઠપ્પ ઃ બંધમાં ઓલ ગુજરાત ક્વોરી એસોસિએશન જોડાશે

સાયલા - સાયલામાં ક્વોરી ઉદ્યોગની હડતાળથી ૩ હજારથી વધુ શ્રમિકો બેરોજગાર બનાત શ્રમિકોએ રેલી કાઢી સુત્રોચ્ચાર સાથે મામલતદારને આવેદન આપ્યું હતું. ઉલ્લેખનીય છે કે સરકારે લેખિતમાં બાંહેધરી આપી છતાં પડતર માંગણીનો ઉકેલ નહીં આવતા ૧૩ દિવસથી ઉદ્યોગ ઠપ્પ થયાં છે. આ બંધમાં ઓલ ગુજરાત ક્વોરી એસોસિએશન જોડાશે.

સાયલા પંથકમાં છેલ્લા ૧૩ દિવસથી (૪થી ફેબુ્રઆરી) ચાલી રહેલી ક્વોરી ઉદ્યોગની હડતાલને કારણે ગંભીર આથક સંકટ ઊભું થયું છે. આ ઉદ્યોગ સાથે સંકળાયેલા ડ્રાઈવરો, મજૂરો, હિટાચી ઓપરેટરો અને સ્પેરપાર્ટના વેપારીઓ સહિત ૩,૦૦૦થી વધુ લોકો સીધી રીતે બેરોજગાર બન્યા છે. પોતાની રોજીરોટી છીનવાઈ જતી જોઈને આજે મોટી સંખ્યામાં શ્રમિકોએ એકઠા થઈ 'અમને રોજી-રોટી આપો', 'હમારી માંગે પુરી કરો'ના સૂત્રોચ્ચાર સાથે રેલી કાઢી સાયલા મામલતદાર કચેરીએ આવેદનપત્ર પાઠવ્યું હતું.

રેલી દરમિયાન વહીવટી તંત્રની લાપરવાહી પણ સામે આવી હતી. અગાઉથી જાણ હોવા છતાં મામલતદાર મોડા આવતા હજારો શ્રમિકોએ કલાકો સુધી રાહ જોવી પડી હતી. બીજી તરફ, હજારોની મેદની સામે કાયદો અને વ્યવસ્થા જાળવવા માટે માત્ર ગણ્યા-ગાંઠયા પોલીસ કર્મીઓ જ હાજર જણાતા તંત્રની સુરક્ષા વ્યવસ્થા સામે પણ સવાલો ઉઠયા છે.

 

ઉલ્લેખનીય છે કે અગાઉ સરકારે ક્વોરી એસોસિએશન સાથે બેઠક યોજી પડતર પ્રશ્નો ઉકેલવાની લેખિત બાહેધરી આપી હતી, પરંતુ હજુ સુધી એક પણ પ્રશ્નનું નિરાકરણ ન આવતા ઉદ્યોગકારો અને શ્રમિકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. શ્રમિકોની માંગ છે કે સરકાર વહેલી તકે મધ્યસ્થી કરી આ વિવાદ ઉકેલે જેથી તેમનું ગુજરાન ફરી શરૃ થઈ શકે.  આગામી સમયમાં આ મામલે ગુજરાત ક્વોરી એસોસિએશનની બેઠક મળશે જેમાં ઓલ ગુજરાત આ હડતાળમાં જોડાશે.

 

ક્વોરી ઉદ્યોગકારોની માંગણીઓ શું છે?

ક્વોરી ઉદ્યોગકારોની મુખ્ય માંગણીઓમાં ક્વોરી ઝોન જાહેર કરવા, બ્લેક ટ્રેપ ખનીજ લીઝમાં હાર્ડ મોરમનો ઉમેરો કરવા, અને પાંચ હેક્ટરથી ઓછી લીઝોને પર્યાવરણીય મંજૂરી (ઈસી) માંથી મુક્તિ આપવાનો સમાવેશ થાય છે. આ ઉપરાંત, માપણીમાં થતી હેરાનગતિ રોકવા સંયુક્ત કમિટી બનાવવામાં આવે.