Get The App

બાલાસિનોરમાં પોલીસના મારનો ભોગ બનેલા સગીરની તબિયત લથડતા દાખલ

Updated: Feb 3rd, 2026

GS TEAM

Google News
Google News
બાલાસિનોરમાં પોલીસના મારનો ભોગ બનેલા સગીરની તબિયત લથડતા દાખલ 1 - image

- જનોડ ગામે મંદિરની ચોરીની શંકાના આધારે 

- ચક્કર આવવા, ઉલટીની ફરિયાદ સાથે બાળકને દાખલ કરાયો, તબિયત સ્થિર હોવાનો મેડિકલ ઓફિસરનો દાવો

બાલાસિનોર : બાલાસિનોર તાલુકાના જનોડ ગામના સગીરને ચોરીના બનાવમાં શંકાના આધારે પોલીસે ઉઠાવી મહિલા પીઆઇ સહિતના સ્ટાફે માર માર્યોે હોવાના આક્ષેપમાં સગીરની તબિયત લથડતા સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત બાલાસિનોર સિવિલ હોસ્પિટલે ખસેડવાની ફરજ પડી હતી. 

જનોડ ગામે લીંબચ માતાજીના મંદિરમાં ચાંદીની પાદુકાની થયેલી ચોરીના બનાવમાં બાલાસિનોર તાલુકા પોલીસ મંદિરમાં જ કામ કરતા ૧૫ વષય સગીરને શાળાએથી બોલાવી બાદમાં મહિલા પીઆઇ સોલંકી સહિતના સ્ટાફે બાળકને માર મારી ગુનો કબૂલવા ખોટી રીતે દબાણ કર્યું હોવાનો આક્ષેપ બાળકના પિતા અને બાળકે પોતે પણ કરતા ચકચાર મચી ગઇ છે. જેના પગલે આ મામલાની તપાસ ડીવાયએસપીને સોંપવામાં આવી છે.

દરમિયાનમાં સોમવારે સગીર બાળકની તબિયત લથડતા તેને સારવાર માટે ૧૦૮ એમ્બ્યુલન્સ મારફત બાલાસિનોર સિવિલ હોસ્પિટલમાં લાવવામાં આવ્યો હતો. બાળકની સ્થિતિ અંગે વિગતો આપતા મેડિકલ ઓફિસરે જણાવ્યું છે કે, ચક્કર આવવાની અને ઉલટીની ફરિયાદ સાથે બાળકને દાખલ કરવામાં આવ્યો હતો. બાળકને ગભરામણની ફરિયાદ પણ હતી, આ સિવાય અન્ય કોઇ તકલીફ નથી. 

બાળકને તેના પિતા જ પોલીસ મથકે લાવ્યા હતા, બાહ્ય ઇજાના કોઇ નિશાન નથી

આ સમગ્ર મામલે ડીવાયએસપી કમલેશ વસાવાએ જણાવ્યું છે કે, ૪૦૦ ગ્રામ ચાંદીની ચરણ પાદુકાની ચોરીની ઘટનામાં શંકાના આધારે સગીર બાળકના પિતાને નોટિસ આપી બોલાવવામાં આવ્યા હતા. તેના પિતા જ સગીરને લઇને પોલીસ મથકે આવ્યા હતા અને પૂછપરછ બાદ પરત લઇ ગયા હતા. મેડિકલ રિપોર્ટમાં પણ બાહ્ય ઇજાના કોઇ નિશાન નહીં હોવાનું સ્પષ્ટ થયું છે. છતાં આક્ષેપો અંગે તપાસ ચાલી રહી છે. તપાસના અંગે કોઇ દોષિત ઠરશે તો પગલાં લેવામાં આવશે.

બાલાસિનોર સરપંચ એસોસિએશન દ્વારા જિલ્લા પોલીસ વડા સફીન હસન વિરુદ્ધ આવેદન 

બાલાસિનોર સરપંચ એસોસિએશન દ્વારા જનોડ ગામ પંચાયતના સરપંચ રમેશભાઈ માછીને મહીસાગર જિલ્લા પોલીસ વડા સફીન હસન દ્વારા તેઓની ચેમ્બરમાં બોલાવી કેટલા વર્ષથી સરપંચ છું ? સરપંચ તારો ધંધો સાફ - સફાઈનો છે, તું તારું કામ કર નહીં તો ખોટા કેસમાં નાખી દઈશ તો જિંદગી ભર સડી જઈશ, તેવા આક્ષેપ સાથે તાલુકાના અન્ય સરપંચોને રજૂઆત કરી હતી અને બાદમાં આવેદનપત્ર આપવામાં આવ્યું હતું.