Ahmedabad News: અમદાવાદ શહેરમાં મારામારી, હત્યા સહિતની ઘટનાઓ સામે આવતી હોય છે, ત્યારે અમદાવાદના શીલજમાં આવેલા અવનીશ હાઈટમાંથી આધેડનો હત્યા કરાયેલો મૃતદેહ મળી આવ્યો છે. જેમાં આધેડને મોઢાના ભાગે ઇજાના નિશાન જોવા મળ્યા છે, ત્યારે પૈસા બાબતે ભત્રીજાએ આધેડ ફુવાની હત્યા કરી હોવાનું સામે આવ્યું છે. સમગ્ર મામલે બોપલ પોલીસે હત્યાનો ગુનો નોંધ્યો છે અને ગણતરીના કલાકોમાં આરોપીની અટકાયત કરીને આગળની કાર્યવાહી હાથ ધરી છે.
ફુવાની હત્યા મામલે ઉદયપુરથી ભત્રીજાની અટકાયત
મળતી માહિતી મુજબ, શીલજના અવનીશ હાઇટ્સમાંથી મનીષ ચોકસી નામના આધેડનો મૃતદેહ મળ્યો છે. મૃતક આધેડ તેમના ભત્રીજા વ્રજ અને પુત્ર સાથે રહેતા હતા. પોલીસની પ્રાથમિક વિગત અનુસાર, મૃતક મનીષભાઈ તેમના ભત્રીજા વ્રજને થોડા દિવસ પહેલા પોતાની પાસે રહેવા માટે લાવ્યા હતા. જેમાં વ્રજ છેલ્લા 10 દિવસથી તેઓની સાથે રહેતો હતો. જો કે, મનીષભાઈનો મૃતદેહ મળી આવ્યા બાદથી વ્રજ ગુમ થઈ ગયો હતો. ઘરમાંથી આધેડનો મૃતદેહ મળી આવવાના મામલે બોપલ પોલીસે એફએસએલ અને ડોગ સ્ક્વોડની મદદથી હત્યા કેસની તપાસ હાથ ધરી હતી.
પોલીસે જણાવ્યું હતું કે, મૃતક ફુવાનો મૃતદેહ મળી આવ્યા બાદ ભત્રીજો વ્રજ દેખાયો ન હતો અને તેનો સંપર્ક પણ થઈ શકતો નહોતો. પોલીસે વધુ તપાસ કરતા વ્રજ હત્યા બાદ પાંચ લાખ લઈને ફરાર થયો હોવાનું જણાયું હતું. સમગ્ર મામલે પોલીસે આરોપી વ્રજની ઉદયપુરથી અટકાયત કરી છે. આરોપીને હવે અમદાવાદ લાવીને વધુ પૂછપરછ કરવામાં આવશે.


