Get The App

અમદાવાદ: સેટેલાઈટના 'રત્નાકર-3' ફ્લેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: સેટેલાઈટના 'રત્નાકર-3' ફ્લેટમાં લાગી આગ, ફાયર બ્રિગેડે ભારે જહેમત બાદ આગ પર કાબુ મેળવ્યો 1 - image


Fire Incident Ahmedabad: અમદાવાદ શહેરમાં આગ લાગવાની ઘટનાઓમાં સતત ચિંતાજનક વધારો થઈ રહ્યો છે. ત્યારે આજે  (23મી મે) સેટેલાઈટ વિસ્તારમાં આવેલી એક રહેણાંક ઇમારતમાં અચાનક ભીષણ આગ ફાટી નીકળતાં સમગ્ર પંથકમાં અફરાતફરીનો માહોલ સર્જાયો હતો. સેટેલાઈટના જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર આવેલા 'રત્નાકર-3' બિલ્ડિંગના ત્રીજા માળે આ આગ લાગી હતી. ઘટનાની જાણ થતાં જ ફાયર બ્રિગેડનો કાફલો ઘટનાસ્થળે દોડી ગયો હતો અને ભારે જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો. 

રત્નાકર-3 ફ્લેટમાં અચાનક આગ ભભૂકી, લોકો નીચે દોડી આવ્યા

મળતી માહિતી મુજબ, સેટેલાઈટ વિસ્તારના જોધપુર પ્રેરણા તીર્થ રોડ પર આવેલી 'રત્નાકર-3' બિલ્ડિંગની બી-વિંગમાં ત્રીજા માળ પર આવેલા એક ફ્લેટમાં અચાનક આગ લાગી હતી. જોતજોતામાં આગની જ્વાળાઓ અને ધુમાડાના ગોટેગોટા બહાર નીકળતા જોઈને ફ્લેટમાં તેમજ આસપાસ રહેતા લોકોમાં ભારે ફફડાટ ફેલાયો હતો. જીવ બચાવવા માટે બિલ્ડિંગના રહીશો તાત્કાલિક નીચે દોડી આવ્યા હતા.

બનાવની જાણ થતાં જ ફાયર વિભાગની 6 ગાડીઓ તાત્કાલિક ઘટનાસ્થળે રવાના કરવામાં આવી હતી. ફાયર વિભાગની ટીમોએ તાત્કાલિક મોરચો સંભાળીને ચાર ગાડીઓ દ્વારા સતત પાણીનો મારો ચલાવ્યો હતો અને સમયસૂચકતા વાપરીને આગને વધુ પ્રસરતી અટકાવી સંપૂર્ણ કાબૂમાં લીધી હતી. આ ઘટનામાં સદનસીબે કોઈ જાનહાનિ થઈ નથી.

આ પણ વાંચો: ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ...

ગઈકાલે એસ.જી. હાઈવેની સોલિટેર બિલ્ડિંગમાં આગ લાગી હતી

અમદાવાદમાં સતત બીજા દિવસે આગની આ બીજી મોટી ઘટના છે. ગઈકાલે શુક્રવારે (22મી મે) એસ.જી. હાઈવે પર આવેલી સોલિટેર બિલ્ડિંગના બી-વિંગના ત્રીજા માળે અચાનક જ આગ ફાટી નીકળી હતી. આ આગ એટલી ભયાવહ હતી કે તે ત્રીજા માળથી પ્રસરીને ચોથા અને પાંચમા માળ સુધી પહોંચી ગઈ હતી. વ્યાપારી હબ ગણાતી આ બિલ્ડિંગમાં અચાનક આગ લાગવાના કારણે અંદર હાજર લોકોમાં ભારે દોડધામ અને અફરાતફરી મચી ગઈ હતી.