Get The App

ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ...

Updated: May 23rd, 2026

GS TEAM

Google News
Google News
ભાજપ સાંસદે જ ઈંધણ અછતની પોલ ખોલી, રૂપાલાએ કહ્યું- 40% જ છે પેટ્રોલ-ડીઝલ... 1 - image

Fuel Crisis: પાંચ રાજ્યોની ચૂંટણીના પરિણામોની ગરમાગરમ ચર્ચાઓ હજુ શાંત થઈ નથી, ત્યાં જ જનતા પર મોંઘવારી અને ઈંધણ કટોકટીનો મોટો ડામ પડ્યો છે. અત્યાર સુધી વિપક્ષી નેતાઓ દ્વારા પેટ્રોલ-ડીઝલની અછત અંગે જે આશંકાઓ વ્યક્ત કરવામાં આવતી હતી, તેને સરકાર ‘ચૂંટણીલક્ષી અફવા’ ગણાવીને ફગાવી રહી હતી. પરંતુ હવે ખુદ સત્તાધારી પક્ષ ભાજપના વરિષ્ઠ સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ જ ઈંધણ અછતની પોલ ખોલી નાખી છે. રૂપાલાએ સ્વીકાર્યું છે કે દેશમાં હવે માત્ર 40 ટકા જ પેટ્રોલ-ડીઝલનો જથ્થો બચ્યો છે. સાંસદના આ ધડાકા બાદ "ગભરાવાની કોઈ જરૂર નથી" તેવા સરકારના દાવાઓની સચ્ચાઈ ખુલ્લી પડી ગઈ છે.

વાહનચાલકો સંયમ જાળવે, પેટ્રોલ પંપો પર લાગી લાંબી કતારો

છેલ્લા એકાદ સપ્તાહથી ગુજરાતમાં કચ્છથી માંડીને સૌરાષ્ટ્ર અને ઉત્તર ગુજરાત સુધી પેટ્રોલ-ડીઝલની ભયંકર અછતને લઈને કાગારોળ મચી છે. રાજ્યના અસંખ્ય પેટ્રોલ પંપો પર 'સ્ટોક નથી' તેવા પાટિયાં ઝૂલી રહ્યા છે. ટુ-વ્હીલરથી લઈને કાર અને ટ્રક ચાલકો ઈંધણ મેળવવા માટે આમતેમ ભટકી રહ્યા છે. જ્યાં થોડો ઘણો જથ્થો ઉપલબ્ધ છે, ત્યાં કલાકો લાંબી કતારો જોવા મળી રહી છે. આ ગંભીર પરિસ્થિતિ વચ્ચે પણ સરકાર એક જ રટણ રટી રહી છે કે જનતા અફવાઓથી સાવધાન રહે અને દોડધામ ન કરે. જોકે, ખુદ ભાજપના જ સાંસદ પુરુષોત્તમ રૂપાલાએ વાહનચાલકોને સંયમ રાખવાની અને કરકસરથી પેટ્રોલ-ડીઝલનો ઉપયોગ કરવાની સલાહ આપતાં પરિસ્થિતિ ચિંતાજનક હોવાનું સાબિત થઈ ગયું છે.

આ પણ વાંચો: વચનોમાં નંબર-1 અને સુરક્ષામાં '0'... વિકાસની દોટમાં વડીલો અસુરક્ષિત, ગુજરાત મોડેલની પોલ ખુલી

'એરકન્ડિશન્ડ સ્ટેડિયમોમાં તાયફા કેમ?' - ભારતીય કિસાન સંઘનો આક્રોશ

એક તરફ વૈશ્વિક યુદ્ધો અને આંતરરાષ્ટ્રીય કટોકટીના બહાના હેઠળ સામાન્ય માણસ પીસાઈ રહ્યો છે, ત્યારે ભારતીય કિસાન સંઘે સરકારની ઊંઘ ઉડાડી દે તેવી અણીયારી માંગ કરી છે. કિસાન સંઘે તીખા સવાલો કરતા કહ્યું છે કે, જો દેશમાં ઈંધણની આવી ભયંકર કટોકટી હોય અને દેશના અન્નદાતાને ખેતરમાં ટ્રેક્ટર ચલાવવા માટે બે લીટર ડીઝલ પણ લાઈનમાં ઊભા રહ્યા પછી નથી મળતું, તો પછી એરકન્ડિશન્ડ સ્ટેડિયમોમાં ફ્લડ-લાઈટોના ભપકા વચ્ચે ક્રિકેટના સટ્ટા-સોદા અને મનોરંજનના નામે થતા તાયફાઓ પાછળ આટલો બગાડ કેમ કરવામાં આવે છે? શું આ દેશભક્તિ છે?

કિસાન સંઘની મોટી માંગ 

વૈશ્વિક પરિસ્થિતિ અને દેશમાં ઈંધણની ગંભીર કટોકટીને ધ્યાનમાં રાખીને ભારતીય કિસાન સંઘે સરકાર સમક્ષ માંગ કરી છે કે દેશમાં રમાઈ રહેલી આઈપીએલ (IPL) મેચો અને મોટા પાયે યોજાતા સાંસ્કૃતિક ડાયરાઓ પર તાત્કાલિક અસરથી પ્રતિબંધ મૂકવો જોઈએ. ટૂંકમાં, સત્તાધારી પક્ષના જ સાંસદે જ્યારે આ ભયાવહ સત્ય સ્વીકારવું પડ્યું છે, તેનાથી સ્પષ્ટ થાય છે કે પરિસ્થિતિ હવે કાબૂ બહાર જઈ રહી છે. જો સરકાર દ્વારા યુદ્ધના ધોરણે પગલાં લેવામાં નહીં આવે, તો આગામી દિવસોમાં ઈંધણની આ અછત વધુ વિકટ અને ભયાનક પરિસ્થિતિનું નિર્માણ કરી શકે છે.