Get The App

અમદાવાદ: બાવળાના રામનગર પાસે તળાવ બન્યું 'ઝેરી', અનેક માછલીઓના મોત, ​કેમિકલયુક્ત પાણી છોડાયાનો ગ્રામજનોનો આક્ષેપ

Updated: Jan 22nd, 2026

GS TEAM

Google News
Google News
અમદાવાદ: બાવળાના રામનગર પાસે તળાવ બન્યું 'ઝેરી', અનેક માછલીઓના મોત, ​કેમિકલયુક્ત પાણી છોડાયાનો ગ્રામજનોનો આક્ષેપ 1 - image


Mass Fish Death in Bavla: અમદાવાદ જિલ્લાના બાવળા તાલુકાના રામનગર ગામના પાદરે આવેલા તળાવમાં છેલ્લા બે દિવસથી હજારોની સંખ્યામાં માછલીઓના મોત થતાં સમગ્ર પંથકમાં ભારે ચકચાર મચી ગઈ છે. તળાવના કિનારે મૃત માછલીઓના ઢગલા જોવા મળતા પર્યાવરણ પ્રેમીઓ અને સ્થાનિકોમાં ઘેરા પ્રત્યાઘાતો પડ્યા છે.

બાવળાના રામનગર પાસે તળાવ બન્યું 'ઝેરી', અનેક માછલીઓના મોત

​મળતી માહિતી મુજબ, બાવળાના રામનગર ગામ નજીક આવેલા આ વિશાળ તળાવમાં અચાનક માછલીઓ મરવા લાગી હતી. જોતજોતામાં હજારો માછલીઓ તળાવની સપાટી પર તરતી જોવા મળી હતી. ગ્રામજનોના જણાવ્યા અનુસાર, છેલ્લા 48 કલાકથી તળાવમાંથી અસહ્ય દુર્ગંધ આવી રહી છે અને પાણીનો રંગ પણ બદલાઈ ગયો છે. આ દ્રશ્યો જોઈને ગામમાં ભય અને આક્રોશનો માહોલ જોવા મળી રહ્યો છે.

​સ્થાનિકના ગંભીર આક્ષેપ

સ્થાનિક રહેવાસીઓએ ગંભીર આક્ષેપ કરતા જણાવ્યું હતું કે, આસપાસના ઔદ્યોગિક એકમો દ્વારા રાત્રિના અંધકારમાં કેમિકલયુક્ત ઝેરી પાણી તળાવમાં છોડવામાં આવ્યું હોવાની પૂરેપૂરી શક્યતા છે.​ 

વધુમાં સ્થાનિકોએ જણાવ્યું કે;

પાણીનો વપરાશ: આ તળાવ ગામ માટે પીવાના પાણી અને ખેતીની સિંચાઈનો મુખ્ય સ્ત્રોત છે. 

આરોગ્ય પર ખતરો: પ્રદૂષિત પાણી અને મરેલી માછલીઓની દુર્ગંધને કારણે આસપાસના વિસ્તારમાં રોગચાળો ફાટી નીકળવાની ભીતિ સેવાઈ રહી છે.​

આર્થિક નુકસાન: માછલીઓના મોતથી જળચર સૃષ્ટિને મોટું નુકસાન થયું છે, જેની અસર પર્યાવરણ પર લાંબે ગાળે જોવા મળશે.

એક સ્થાનિકે કહ્યું કે, "અમે વર્ષોથી આ તળાવના પાણીનો ઉપયોગ કરીએ છીએ, પણ ક્યારેય આવું નથી બન્યું. કોઈ ફેક્ટરીવાળાએ ઝેરી પાણી પધરાવ્યું હોય તેમ લાગે છે. જો તંત્ર જલ્દી તપાસ નહીં કરે તો અમારે પીવાના પાણી માટે વલખાં મારવા પડશે."

આ પણ વાંચો: VIDEO | અમદાવાદ: બોપલમાં મહિલા પર હુમલાના કેસમાં લેબ્રાડોરની 'ધરપકડ', AMCએ કૂતરાને શેલ્ટરમાં પૂર્યો

ઘટનાને પગલે ગ્રામજનોએ ગુજરાત પ્રદૂષણ નિયંત્રણ બોર્ડ(GPCB) અને સ્થાનિક વહીવટીતંત્ર સામે ઉગ્ર રોષ વ્યક્ત કર્યો છે. લોકોની માગ છે કે તત્કાલ અસરથી પાણીના નમૂના લઈ લેબોરેટરીમાં તપાસ માટે મોકલવામાં આવે અને જે પણ એકમો જવાબદાર હોય તેમની સામે કડક કાયદેસરની કાર્યવાહી કરી દંડ ફટકારવામાં આવે.