Gujarat

ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર એસ. કે. રંધાવા સસ્પેન્ડ

By GS Team
3 Mar 20221 min read
This article was originally published on 3 Mar 2022
ઉતર ગુજરાત વીજ કંપનીના મેનેજીંગ ડાયરેક્ટર એસ. કે. રંધાવા સસ્પેન્ડ

અમદાવાદ, તા. 03 માર્ચ

સરકારે ખેડૂતોની આવક બમણી થાય તે ઉદ્દેશ્યથી અમલમાં મુકેલી નીતિમાં અધિકારીઓએ રૂ. 300 કરોડની સબસિડીમાં ગોલમાલ કરી હતી. આજથી 5 વર્ષ પૂર્વે ખેડૂતોની આવક બમણી કરવા અમલમાં મુકવામાં આવેલી સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિમાં થયેલા કૌભાંડ મામલે ગુજરાત સરકારે IFS કેડરના કમલજીતસિંઘ રંધાવાને પણ સસ્પેન્ડ કર્યા છે.

સર્વગ્રાહી કૃષિ વ્યવસાય નીતિ 2016-21 અંતર્ગત વિતેલા 5 વર્ષમાં આ પોલિસી હેઠળ એગ્રો પ્રોસેસિંગ યુનિટ અને ખેડૂતોના નામે કરોડો રૂપિયાનુ કૌભાંડ થયાનું પુરવાર થયું છે. અત્યાર સુધીમાં આ પોલિસી હેઠળ રૂ. 300 કરોડની સબસિડી ચુકવાઈ છે જેમાંથી 450 જેટલી અરજીમાં બારોબાર જ સબસિડી ચુકવીને મોટાપાયે ભ્રષ્ટાચાર થયા છે.

IFS રંધાવા ગુજરાત એગ્રો ઈન્ડ્રસ્ટ્રીઝ કોર્પોરેશન- GAICમાં મેનેજીંગ ડાયરેક્ટર પદે હતા ત્યારે આ નીતિ અંતર્ગત આડેધડ રૂ. 300 કરોડની સબસિડી ચુકવાઈ હતી. આ અંગે છેક વડાપ્રધાન કાર્યાલય PMO સુધી ફરિયાદ પહોંચી હતી. તેના અનુસંધાને ગત સપ્તાહે ગુજરાત સરકારને GAICના AGM અભય જૈન અને આસિસ્ટન્ટ મેનેજર શૈલેષ પરમારને સસ્પેન્ડ કરવાની ફરજ પડી હતી. 

ત્યારે હવે સરકારે PMOના આદેશથી IFS કેડરના રંધાવાને પણ સસ્પેન્ડ કરીને ઊંડાણપૂર્વકની તપાસ કરવા આદેશ આપ્યા છે.