Get The App

સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે

Updated: Feb 12th, 2026

GS TEAM

Google News
Google News
સોમનાથ મંદિરે મહાશિવરાત્રિનો મિનિ મેળો : 5 લાખ ભાવિકો ઉમટશે 1 - image

સમુદ્રના ઘૂઘવાટા સાથે ચોપાટી પર સાંસ્કૃતિક કાર્યક્રમો સતત 42 કલાક મંદિર દર્શન માટે ખુલ્લું : મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે શિવ પાલખીયાત્રા સહિતના આયોજનો

વેરાવળ, : પ્રથમ જ્યોતિર્લિંગ સોમનાથ મહાદેવ મંદિરે મહાશિવરાત્રિ પર્વે ગુજરાત પ્રવાસન નિગમ દ્વારા સોમનાથ મહોત્સવનું આયોજન કરવામાં આવે છે. આ વર્ષે પણ તા.૧૪ અને ૧૫ વિવિધ સાંસ્કૃતિક પ્રસ્તુતિ કરવામાં આવશે. આ તહેવાર અંતર્ગત મંદિર સતત ૪૨ કલાક સુધી દર્શનાર્થીઓ માટે ખુલ્લુ રહેશે. આ તકે પાંચ લાખથી વધુ શિવભક્તો ઉમટી પડવાની શક્યતા છે.

સોમનાથમાં મહાશિવરાત્રીમાં મીની મેળા જેવું વાતાવરણ દર વર્ષે થાય છે. ચોપાટી પર સાંસ્કૃતિક કાર્યક્રમો યોજાશે. અહીં આવતા શિવભક્તો માટે એસ.ટી., રેલવે દ્વારા વધારાની વ્યવસ્થા કરવામાં આવી છે, તો સિટી બસ સેવા પણ કાર્યરત રહેશે. સોમનાથ ટ્રસ્ટ દ્વારા યાત્રિકો માટે વિનામૂલ્યે ભોજન તથા ડોંગરેજી મહારાજ અન્નક્ષેત્રમાં પણ ભોજન પ્રસાદીની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે. અનેક સંસ્થાઓ દ્વારા ભંડારાનું આયોજન કરાયું છે.

આગામી તા. 15ને રવિવારે મહાશિવરાત્રી પર્વના દિવસે હોમાત્મક લઘુરૂદ્ર યજ્ઞા, બિલ્વ પૂજા, પાધપૂજા, સોમેશ્વર પૂજા, મહામૃત્યુંજય જાપ, સંધ્યા શણગાર, ચાર પ્રહર પૂજા, પાર્થેશ્વર પૂજા સહિતના વિવિધ કાર્યક્રમો પણ યોજાશે. સોમનાથ ટ્રસ્ટ તરફથી માત્ર રૂપિયા ૨૫માં બિલ્વપૂજા થઇ શકે અને ભાવિકો પોસ્ટના માધ્યમથી મહાદેવની પ્રસાદી મેળવી શકે તે માટે યોજના જાહેર કરાઇ છે. મંદિર પરિસરમાં વૈદિક મંત્રોચ્ચાર સાથે વાજતે-ગાજતે શિવ પાલખીયાત્રા નીકળશે.

મારૂતી બીચ ઉપર શાસ્ત્રોક્ત વિધિ વિધાન સાથે પાર્થિવ શિવલીંગની સમૂહ મહાપૂજા યોજાશે. ટ્રાફિક જામ ન થાય તે માટે વહીવટી તંત્ર દ્વારા એક માર્ગીય રસ્તો જાહેર કરાયો છે. પોલીસ વિભાગ દ્વારા એસઆરપી સહિત ૫૦૦થી વધુ પોલીસ કર્મચારીઓ સુરક્ષામાં રહેશે. આ ઉપરાંત પાર્કિંગથી સ્વાગત કક્ષ સુધી વિનામૂલ્યે રિક્ષા વૃદ્ધો અને અશક્તો માટે વિનામૂલ્યે ગોલ્ફકારની વ્યવસ્થા ગોઠવવામાં આવી છે.

સોમનાથ મંદિર સુધી પહોંચવા મિનિ ટ્રેન દોડશે

સોમનાથ મંદિર સુધી પહોંચવા માટે ગોલ્ફકાર કાયમી ધોરણે દોડતી રહે છે. તેમાં મહાશિવરાત્રીથી નવું નઝરાણું ઉમેરાઇ રહ્યું છે. રેલવેના બે કોચ અને આગળ રેલવે એન્જિન જોડેલું હોય તેવા કોચમાં બેસી મંદિર સુધી જઇ શકાય તેવી વ્યવસ્થા ગોઠવાઇ છે. રેલવેના પાટાની બદલે આ કોચ ટાયરના વ્હીલથી મંદિરના પથ પર દોડશે.