Ahmedabad Bhdrakali nagaryatra news : આજે (26મી ફેબ્રુઆરી) અમદાવાદના નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા યોજાઈ રહી છે. વહેલી સવારથી મંદિર પરિસરમાં માઈ ભક્તો ઉમટી પડ્યા છે. મંગળા અને શણગાર આરતીમાં ભક્તોએ માતાજીના દર્શન કરીને ધન્યતા અનુભવી હતી.
Ahmedabad Bhdrakali nagaryatra LIVE UPDATES :
માતાજીનો રથ જગન્નાથના દ્વારે...
માતાજીનો રથ જગન્નાથ મંદિર પહોંચી ગયો છે. ત્યાં માતાજીની પૂજા અર્ચના મંદિરના મહંત દ્વારા કરવામાં આવી હતી. હવે રથ સાબરમતી નદી થઈને નીજ મંદિર પરત ફરશે.
મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને માતાજીના હાર પહેરાવીને દર્શન કર્યા
માતાજીનો રથ અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશનના પરિસરમાં લાવવામાં આવ્યો હતો. મેયર, સ્ટેન્ડિંગ કમિટી ચેરમેને માતાજીને હાર પહેરાવીને દર્શન કર્યા હતા. આ ઉપરાંત ટ્રસ્ટીને પણ હર પહેરાવીને માતાજીની મૂર્તિ આપીને અભિવાદન કર્યું હતું.

રથ એએમસી ખાતે પહોંચ્યો
માતાજીની નગરયાત્રા અમદાવાદ મ્યુનિસિપલ કોર્પોરેશન ખાતે પહોંચી. અહીં મેયર અને સ્ટેન્ડિંગ કમિટીના સભ્ય દ્વારા માતાજીની આરતી અને સ્વાગત કરશે.

પોળના રહીશોએ પુષ્પ વર્ષા કરીને માતાજીના વધામણા કર્યાં
ચકલેશ્વર મહાદેવ પછી પસાર થયા બાદ માતાજીની નગરયાત્રા બાલા હનુમાનજી મંદિર તરફ આગળ વધી. ત્યારે પોળના રહીશોએ પુષ્પ વર્ષા કરીને માતાજીના વધામણા કર્યાં હતા. અમદાવાદની મા ભદ્રકાળી લીલા લેર કરાવે ભજન પર ભક્તો જુમી ઉઠ્યા હતા.

નગરદેવીની યાત્રા ખાડિયા પહોંચી
નગરદેવીની યાત્રા અત્યારે ખાડિયાના ચકલેશ્વર મહાદેવથી પસાર થઈ રહી છે. અહીં પોળના રહેવાસીઓ માતાજીના દર્શન કરવા માટે ઉમટ્યા છે. અહીંથી પસાર થતી કારમાંથી પ્રસાદ ભક્તોને આપવામાં આવી રહ્યો છે.
નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રામાં કરતબ બાજોના દિલધડક કરતબો

મંદિરના ટ્રસ્ટીએ આપી માહિતી
મા ભદ્રકાળી મંદિરના ટ્રસ્ટી શશિકાંત તિવારીએ કહ્યું હતું કે, 'આ વખતે 8.5 કિ.મી. લાંબી નગરયાત્રા રહેશે. ગત વખત કરતાં આ વખતે રુટમાં બે વિસ્તારો વધારવામાં આવ્યા છે. હવે ખાડિયા અને રાયપુરમાંથી પણ નગરયાત્રા પસાર થશે.'તેમણે કહ્યું કે માતાજીના રથને પ્રસ્થાન કરાવવા માટે હર્ષ સંઘવી પધારવાના હતા પરંતુ કોઈ કારણોસર છેલ્લી ઘડીને ન આવી શક્યા અને તેમણે મને મોડી રાતે ફોન કરીને આ વિશે જણાવી દીધું હતું. જ્યારે તેમની જગ્યાએ અમદાવાદના મેયર પ્રતિભા જૈન આવ્યા હતા જે પણ ફોર્માલિટી કરીને 10 જ મિનિટમાં રવાના થઈ ગયા હતા. તેમને આ અંગે સવાલ કરાતા તેમણે ચાલતી પકડી હતી અને કોઈ જવાબ નહોતો આપ્યો.
મેયરના હસ્તે પહિંદ વિધિ
મેયર પ્રતિભા જૈન અને સ્ટેન્ડિંગ કમિટી ચેરમેન દેવાંગ દાણીએ પહિંદ વિધિ કરાવી નગરયાત્રાનો પ્રારંભ કરાવ્યો હતો. પહિંદ વિધિનું સમાપન થતાં જ અખાડા અને ભજન મંડળીઓ મંદિરથી રથ લઈને નગરચર્યાએ ઉમટી પડ્યા હતા. રથની સાથે જ ધજા પતાકા પણ જોવા મળ્યા હતા. ઢોલ નગારા તથા અખાડાના કરતબો સાથે યાત્રા ત્રણ દરવાજા તરફ આગળ વધી હતી.

મંદિરનો વિશેષ ફૂલોથી શણગાર
આજે વિશેષ દિવસે મંદિર ઓર્કિડ અને ગલગોટાના ફૂલોથી શણગારેલું છે. મંદિરના પ્રાંગણમાં ભક્તો ઢોલ અને ડાકલા તાલે ઝૂમી રહ્યા છે અને માતાજીની ભક્તિના ગીતો ગાઈ રહ્યા છે. મહત્વનું છે કે, રાવળ દેવ દ્વારા ડાકલાના તાલે માતાજીને રથમાં વિરાજિત કરાયા હતા.
પોલીસ કાફલો ખડેપગે
આજે નગરદેવી મા ભદ્રકાળીની નગરયાત્રા નિમિત્તે તંત્ર દ્વારા ખાસ વ્યવસ્થા કરવામાં આવી છે. મંદિર પરિસરમાં 350થી વધારે પોલીસનો સ્ટાફ સુરક્ષામાં હાજર છે. માતાજીના રથના પ્રસ્થાન પહેલા પોલીસ દ્વારા ગાર્ડ ઓફ ઓર્નર આપવામાં આવ્યું છે. જોકે પરીક્ષાને ધ્યાનમાં રાખીને ડીજે કેન્સલ રાખવામાં આવ્યો હતો.


