Gujarat

વડોદરા: M.S.U. ભરતી મામલો અનુસૂચિત જાતિ આયોગ સુધી પહોંચ્યો, 15 દિવસમાં માહિતી રજૂ કરવા આદેશ

By GS Team
19 Nov 20211 min read
This article was originally published on 19 Nov 2021
વડોદરા: M.S.U. ભરતી મામલો અનુસૂચિત જાતિ આયોગ સુધી પહોંચ્યો, 15 દિવસમાં માહિતી રજૂ કરવા આદેશ

વડોદરા, તા. 18 નવેમ્બર 2021 ગુરૂવાર

વડોદરાની એમ.એસ.યુનિવર્સિટી ના સરકાર નિયુક્ત સેનેટ સભ્ય ડો. સુનીલ કહાર દ્વારા તારીખ 24.10. 2021 ના દિવસે ભારત સરકારના અનુસૂચિત જાતિ આયોગમાં એમ એસ યુનિવર્સિટી ભરતી પ્રક્રિયા માં અનુસૂચિત જાતિ ,અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ ના ઉમેદવાર સાથે થયેલા અન્યાય અંગેની ફરિયાદ કરવામાં આવી હતી તેના અનુસંધાનમાં ભારત સરકારના અનુસૂચિત જાતિ માટેનું રાષ્ટ્રીય આયોગ દ્વારા એમ.એસ.યુનિવર્સિટીના વાઇસ ચાન્સેલર પ્રોફેસર પરિમલ વ્યાસ ને એમ એસ યુનિવર્સિટી ભરતી પ્રક્રિયા માં થયેલ અનુસૂચિત જાતિ અનુસૂચિત જનજાતિ અને અન્ય પછાત વર્ગ ના ઉમેદવાર સાથે થયેલા અન્યાય અંગે કારણ બતાવો નોટિસ પાઠવવામાં આવી છે.

આયોગે ભારતના બંધારણના અનુચ્છેદ 338 હેઠળ તેને આપવામાં આવેલી સત્તાના અનુસંધાનમાં આ બાબતની તપાસ/પૂછપરછ કરવાનો નિર્ણય લીધો છે.

આયોગે આ નોટિસ મળ્યાના 15 દિવસની અંદર પોસ્ટ દ્વારા અથવા રૂબરૂમાં અથવા સંદેશાવ્યવહારના અન્ય માધ્યમ દ્વારા 15 દિવસની અંદર પર કરવામાં આવેલી કાર્યવાહી અંગેની માહિતી સુપ્રત કરવા જણાવ્યું છે.

અનુસૂચિત જાતિ આયોગે યુનિવર્સિટી સત્તાધીશોને તાકીદ કર્યું છે કે જો કમિશનને નિર્ધારિત સમયની અંદર યુનિવર્સિટી તરફથી જવાબ નહિ મળે તો કમિશન ભારતના બંધારણના અનુચ્છેદ 338 હેઠળ આપવામાં આવેલી સિવિલ કોર્ટની સત્તાનો ઉપયોગ કરી શકે છે અને અને યુનિવર્સિટીના કુલપતિ પ્રોફેસર પરિમલ વ્યાસ સમક્ષ રૂબરૂ અથવા પ્રતિનિધિ દ્વારા તમારી હાજરી માટે સમન્સ જારી કરશે.